અમદાવાદઃ JNUમાં થયેલા હુમલાના વિરોધમાં મંગળવારે બપોરે અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. NSUIના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે ABVPના કાર્યાલય પર પહોંચ્યા હતા. તે દરમિયાન NSUI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં NSUIના નિખિલ સવાણીને પણ માથામાં ઈજા થઈ હતી. આ ઘટના બાદ નિખિલ સવાણીએ ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ સહિત 70 જેટલા કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મંગળવાસે સવારે 10.30 વાગ્યાની આસપાસ NSUIના કાર્યકર્તાઓ અને ABVP વચ્ચે પાલડી કાર્યલયે જોરદાર ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટનામાં બંને સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં NSUIના યુવા પ્રમુખ નિખિલ સવાણીને એબીવીપીના કાર્યકરોએ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયો હતો.

આ દરમિયાન પોલીસે મામલો શાંત પાડવા માટે યુવકો પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. નિખિલ સવાણીને ગંભીર ઈજા બાદ સારવાર માટે વી.એસ. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સારવાર કર્યા બાદ નિખિલ સવાણીએ પોતાનું નિવેદન આપ્યું હતું.

નિખિલ સવાણીએ પોલીસ ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ અને પ્રદિપ સિંહ વાઘેલા સહિતના અન્ય ABVPના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મુદ્દે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ABVP દ્વારા પણ આ મુદ્દે NSUIના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ આપવાની તજવીજ શરૂ કરી હતી.