અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શહેરમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે, જે સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેવાનું છે. અમદાવાદમાં કર્ફ્યૂને પગલે રસ્તાઓ સુમસામ છે. તેમજ દુકાનો બંધ છે. બીજી તરફ કર્ફ્યૂ વચ્ચે પણ લોકો કોરોનાના ટેસ્ટ કરાવી રહી છે.


શહેરના બોપલ વકીલ સાહેર બ્રીજ પાસે કોરોના ટેસ્ટિંગ ચાલુ છે. અત્યાર સુધીમાં ડોમમાં 16 ટેસ્ટ કર્યા તેમાંથી 7 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, દિવાળી પછી અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. તેમજ લોકો વહેલી સવારથી જ કોરોનાના ટેસ્ટ કરાવા માટે લાઇન લગાવી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં જ 300થી વધુ કેસો આવતાં ખળભળાટ મચી ગયો હતો.

રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1420 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 3837 પર પહોંચ્યો છે. જ્યારે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,94,402 પર પહોંચ્યો છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 305, સુરત શહેરમાં 205 , વડોદરા શહેરમાં 116, રાજકોટ શહેરમાં 83, બનાસકાંઠા-54, રાજકોટ-54, ગાંધીનગર કોર્પોરેશન - 52, મહેસાણા -52 , પાટણ-49 અને સુરતમાં 41 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1040 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 1,77,515 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં હાલ 13050 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસમાંથી 12958 દર્દીઓની હાલત સ્થિર છે તો 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ઘઈ કાલે કોરોના વાયરસથી કુલ 7 લોકોના મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, પાટણ અને રાજકોટ કોર્પોરેશનમાં એક-એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 71,01,057 ટેસ્ટ કરવામાં આવ્યા છે.