અમદાવાદ:  અમદાવાદમાં વરસેલા ધોધમાર વરસાદે મહાનગરપાલિકાના પ્રિ-મોનસૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. શહેરના  વેજલપુર, આનંદ નગર અને સીમા હોલ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગઈ છે.  કિષ્નાનગરી સોસાયટી, શ્રીનંદનગર સોસાયટીમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. AMCના નઘરોળ પ્રશાસનના પાપે અમદાવાદીઓ પરેશાન થયા છે.  


અમદાવાદ શહેરમાં પડેલા ગાજવીજ સાથે ઘોધમાર વરસાદના પગલે અનેક વિસ્તોરમાં પાણી ભરાયા છે. એસજી હાઈવે પર આવેલા સર્વિસ રોડ પર પાણી ભરાયું છે.  અમદાવાદ શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો અને વીજળીના કડાકા અને ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે અનેક વાહનચાલકો રસ્તા વચ્ચે ફસાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  


ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી


રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમજ  કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  આજે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.   આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં જ્યારે 30 મેના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન છે.      


આ તારીખ પછી વાવણી કરવા અંબાલાલ પટેલની સલાહ


હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ખેડૂતોને 15 જૂન પછી વાવણી કરવાની સલાહ આપી છે.  અંબાલાલ પટેલના મતે અંદામાન- નિકોબારમાં ચક્રવાત ઉભુ થતા કેરળમાં ચોમાસુ મોડુ આવશે.  કેરળમાં 5થી 15 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે.  અંદામાન- નિકોબારમાં જ ચોમાસાની ગતિ નબળી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે.  એટલે જો કેરળમાં મોડુ બેસે તો ગુજરાતમાં પણ ચોમાસુ મોડુ થઈ શકે છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે કે  15 જૂન બાદ વાવણી કરવી વધુ હિતાવહ છે.  15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 8 ઓગસ્ટ  બાદ વરસાદનુ જોર ઘટી શકે છે. 


મીની વાવાઝોડા સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.