અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આજે અમદાવાદમાં સાદગી પૂર્વક ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી હતી. સાબરમતી નદીના નીરથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ જળયાત્રામાં ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા અને તેમણે પૂજા કરી હતી.


ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સૌપ્રથમ ચરણ એટલે જળયાત્રા. આજે જ્યેષ્ઠ પૂર્ણિમા છે ત્યારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઇ હતો. જોકે, તેમાં પ્રથમવાર કોઇ ભક્તો-સંતો જોડાયા નહોતા. આ ઉપરાંત આ વખતે કોઇ વ્યક્તિગત યજમાનને બદલે સમગ્ર સરસપુર ગામ દ્વારા જ ભગવાનના મામેરાની યજમાની કરવામાં આવશે.

આ વખતે મહામારી કોરોનાને પગલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાદગીપૂર્વક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વખતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત ગણતરીના લોકો જ જળયાત્રામાં જોડાયા હતા. તેમજ સરકાર વતી નીતિન પટેલ હાજર રહ્યા હતા. ભક્તો-સંતો વિના જ જળયાત્રા યોજાતી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે.