અમદાવાદઃ આજે જેઠ સુદ પૂનમ એટલે જળયાત્રા. આજે જગનાથજીની જળયાત્રા નીકળી હતી. આ સાથે આજથી રથયાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે. સાબરમતી નદીના આરે ગંગા પૂજન થયું હતું. ગંગા પૂજનમાં ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. 108 કળશમાં જળ લાવીને ભગવાનનો જળાભિષેક કરાયો હતો.


હવે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું રથયાત્રાને લઈને પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. રથયાત્રા માટે સમય સંજોગો જોઈને નિર્ણય કરીશું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 143 વર્ષથી જેનું આયોજન થઈ રહ્યું છે તેવા મંદિરના આગણામાં અનેરો મહોત્સવ યોજાયો. મંદિરના ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં જળયાત્રા યોજી છે. મર્યાદિત ધોરણે જળયાત્રા યોજી અને સાબરમતી નદીના પવિત્ર પાણી દ્વારા જળાભિષેક કરાયો. વિશેષ આનંદ એ છે કે આ મંદીર જ નહીં ગૌશાળા પણ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. ટેલીમેડીસીન અને વેકસીનેશનની કામગીરીઓ જગન્નાથ મંદિર ખાતે કરવામાં આવી છે. ઐતિહાસિક જળયાત્રા પૂર્ણ થઈ છે. જળ અભિષેક કરવામાં આવ્યો છે. રથયાત્રા નક્કી આગામી દિવસમાં કરીશું. ટ્રસ્ટ સાથે સકલનમાં રહીને રથયાત્રા કરવામાં આવશે.

અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રથયાત્રાને લઈને સરકાર અત્યારે કોઈ જ નિર્ણય લેવા નથી માંગતી. યોગ્ય સમયે રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. 

Rathyatra 2021: અમદાવાદની જગન્નાથ રથયાત્રા યોજાશે કે નહીં ? જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

ભારતમાં જગ્ન્નાથપુરી પછી  બીજી જાણીતી અમદાવાદની રથયાત્રા ચાલુ વર્ષે જાશે કે નહીં તેની ફરીથી અટકળો શરૂ થઈ ગઈ છે.  જગન્નાથ મંદિરના મંહત દિલીપ દાસજી પણ ઇચ્છે છે કે રથયાત્રા નીકળે. પરંતુ, આઇબીના રિપોર્ટમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ જે રીતે બેદરકારી બહાર આવી હતી અને  બીજી લહેરમાં મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ધાર્મિક લાગણી કરતા ગુજરાતની સ્થિતિ જોખમી ન બને તે જરૂરી છે.


ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રા તેમજ અન્ય તહેવારોને લઇને તમામ વિગતો સાથે રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રથયાત્રાના પરંપરાગત રૂટ પર કરફ્યુ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો  પણ લોકો એકઠા થવાના પુરેપુરા સંજોગો છે અને પરિણામે સ્થિતિ ડામાડોળ થઇ શકે તેમ છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે. 
રિપોર્ટમાં રાજ્યમાં અન્ય શહેરોમા યોજાનારી રથયાત્રાઓને ચાલુ વર્ષે ન યોજવા માટે તાકીદ કરવામાં આવી છે.  સાથેસાથે જન્માષ્ટમીનો મેળો કે અન્ય તહેવારોની ઉજવણી ન કરવા માટે  સુચિત કરાયા છે. જેમાં રથયાત્રાના રૂટ પર ભગવાનના રથને જ પસાર કરવામાં આવે અને આ વિસ્તારમાં કરફ્યું જાહેર કરવામાં આવે. જેથી રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નીકળી શકે. પંરતુ, રથયાત્રાને લઇને સેન્ટ્રલ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો) એ  આ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સોંપ્યો છે. સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર અમદાવાદની રથયાત્રા જ નહી પણ રાજ્યની તમામ રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ યોજવા માટે 24 જુન બાદ જાહેરાત કરી શકે છે.


ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તાબામાં આવતા સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા  માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો છે. તો હવે કેન્દ્ર સરકારના ઇન્ટેલીજન્સ વિભાગે પણ વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે.


ઇન્ડિયન મેડીકલ એસોશીએનના તબીબોએ પણ સરકારને આ બાબતે એલર્ટ કરી છે કે ભીડભાડ ન થાય તેમજ તહેવારોમાં લોકો ભાન ન ભુલે તે માટે સરકારે ધ્યાન રાખવું જરૂરી છે. નહીતર સંભવિત ત્રીજી લહેર જોખમી બની શકે તેમ છે. આમ, હવે રિપોર્ટને આધારે રાજ્ય સરકારને નિર્ણય લઇ શકશે. તો સાથેસાથે કેન્દ્ર સરકાર પણ રિપોર્ટના આધારે રાજ્યની રથયાત્રાનો નિર્ણય લઇ શકે છે.