Cyclone Biparjoy News: બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે. તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર જોવા મળી રહી છે. મધરાત્રે આ વાવાઝોડું પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી ગયું હતું. વાવાઝોડાની અસરને પગલે અમદાવાદના બાગ બગીચા બંધ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં આજે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. ભારે પવનના કારણે બાગ બગીચામાં આવતા મોર્નિંગ વોકર્સ માટે બંધ રાખવામાં આવ્યું છે. ભારે પવનના કારણે ઝાડ પડવાની ઘટનાઓ થતી હોય છે, જેના કારણે એએમસી દ્વારા અમદાવાદમાં તમામ બાગ બગીચા બંધ રાખવામાં આવ્યા છે. પ્રહલાદ નગર સહિત શહેરના તમામ ગાર્ડન બંધ હોવાના કારણે મોર્નિંગ વોકર્સ પાછા ફર્યા હતા.


અમદાવાદમાં ત્રણ દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી


વાવાઝોડું પસાર થયું પરંતુ હજુ ખતરો ટળ્યો નથી. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં ત્રણ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે આજે સાંજે તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી પણ છે. જેના કારણે આજે અમદાવાદમાં એક દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તો રિવરફ્રંટ, કાંકરિયા અને બાગ બગીચાઓ પણ બંધ રહેશે. તો ગુરુવારે વાવાઝોડાની અસરના કારણે 30 સ્થળો પર વૃક્ષ અને ત્રણ હોર્ડિંગ્સ ધરાશાયી થયાની ફાયર વિભાગને ફરિયાદ મળી હતી. તો ત્રણ સ્થળો પર વીજપોલ ધરાશાયી થયાની ફરિયાદ મળતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ અને કામગીરી કરી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.


 રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.


બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.