અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. ડોક્ટર્સ, પોલીસ અને પછી હવે ફાયરના જવાનો કોરોનાનો ભોગ બન્યા છે. જશોદાનગર ફાયર વિભાગના 3 જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેયને સારવાર માટે svp હોસ્પિટલમાં ખસેડાયા છે.


જ્યારે અન્ય ત્રણ ફાયર જવાનોને ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે. સંપર્કમાં આવેલા મણિનગરના ફાયર ઓફિસર ને પણ ક્વોરેન્ટાઇન કરાયા છે. અગાઉ લક્ષણો દેખાતા ત્રણ ફાયરના જવાનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ સામે આવ્યા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 243 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14063 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 858 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 10280 કેસ નોંધાયા છે. જેમાંથી 4051 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 697 લોકોના મોત થયા છે. તેમજ 5532 લોકો હાલ સારવાર હેઠળ છે. સુરતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1320 કેસો નોંધાયા છે. જેમાંથી 897 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 61 લોકોના મોત થયા છે. તેમજ 362 લોકો સારવાર હેઠળ છે.