Ahmedabad: અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયુ હતું. આ સ્નેહ મિલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના પ્રમુખ આર.પી.પટેલે રાજકીય આગેવાનો પર પ્રહાર કર્યા હતા.  તેમણે કહ્યું હતું કે ''રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા લોકો જાહેર કરેલું દાન જમા કરાવે. આ પ્રકારના લોકો ''રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ ન થતા દાન જમા કરાવતા નથી. સમાજ ભાવનાને વરેલા શ્રેષ્ઠીઓ જાહેર રકમ જમા કરાવે છે. સમાજ ભાવના સિવાય રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા લોકો દાન જમા કરાવતા નથી. પોતાનું સ્થાન ઉંચુ વધારવા કેટલાક મહત્વાકાંક્ષીઓ દાન જાહેર કરે છે.


વધુમાં તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો સામાજિક સંસ્થામાં રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ આપતા નથી. રાજકીય મહત્વાકાંક્ષાથી દાન જાહેર કરતા હોય છે. રાજકીય હેતુથી જાહેર કરેલું દાન સમયસર આવતું નથી. રાજકીય હેતુ પૂરો નથી થતો ત્યાં સુધી દાન આપતા નથી. સામાજિક સંસ્થામાં રાજકીય કદ વધારવા દાન જાહેર કર્યા બાદ આપતા નથી.


પાટીદાર સમાજની દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. આવા કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. મોટાભાગના કિસ્સામાં સામેના પાત્રો રખડતાં અને લુખ્ખા તત્વો હોય છે. અસામાજિક તત્વો જાણી જોઈને ઇરાદાપૂર્વક દીકરીઓને ફસાવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી  દીકરીઓની લાગણી ઉશ્કેરે છે. બોલિવૂડના ફિલ્મોમાં પણ આ પ્રકારની લવ સ્ટોરી દર્શાવવામાં આવે છે. દરેક સમાજ સુધી આ વાત પહોચે તે માટે મેં આ વાત મૂકી છે. રાત્રે ઘરસભામાં સંતાન માં - બાપ સામે ડર અને સંકોચ વગર વાત કરી શકે તેવું વાતાવરણ ઘરમાં ઉભુ કરવું જોઇએ. માતા પિતા દીકરીને ઘરમાં યોગ્ય સમય નથી આપી શકતા માટે આવા કિસ્સાઓ બને છે.  અમીર હોય કે ગરીબ દરેક પરિવાર સાથે આવી ઘટના બનતી રહે છે. આ પરિસ્થિતિનો ઉકેલ પારિવારિક સંબંધના આધારે લાવી શકાય છે. સંતાનો દરેક પ્રકારની વાત કરવાનો અવસર મળે તેવું હૂફવાળું વાતાવરણ ઉભુ કરવું જોઈએ.

નોંધનીય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલયમાંથી માતાજીની મૂર્તિની ચોરી થઇ હતી. 500 - 500 ગ્રામની ચાંદીની 2 મૂર્તિની ચોરી થઇ હતી. રવિવારે બપોરના અરસામાં તસ્કરોએ ચોરી કરી હતી. આ મામલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. સાંતેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.