Ahmedabdad News: અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ઉત્તરાયણ બાદ બદલાશે. નવ કાઉન્સિલરોએ કરેલી રજુઆત બાદ પ્રદેશ સ્તરેથી નિર્ણય લેવાશે. પ્રમુખ બાદ પ્રભારી સાથે નવ કાઉન્સિલરો બેઠક કરવાની તૈયારીમાં છે. પ્રદેશ પ્રમુખે બુધવારે મળેલા કાઉન્સિલરોને વિપક્ષ નેતા બદલવા બાંહેધરી આપી છે. 10 જાન્યુઆરી 2022ના રોજ એક વર્ષ માટે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ કરાઈ હતી.


રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો


આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છે. જો કમોસમી વરસાદ પડે તો સૌથી વધારે જીરુંના પાકને નુકસાન થશે. કમોસમી વરસાદ પડશે તો શિયાળુ પાકમાં નુકસાન થશે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી શિયાળામાં દર વર્ષે કમોસમી વરસાદ પડે છે. વરસાદ પડશે તો કેરીના પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે. વાદળ છાયા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતિત બન્યા છે.


રાજ્યમાં બીજી કઈ કઈ જગ્યાએ આવ્યો પલટો

સુરતના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો છે. આજે સવારથી સુરજ દાદાના દર્શન નથી થયા. વાદળછાયા વાતાવરણના કારણે વાયરલ ઇન્ફેકશન વધવાનો ભય છે. હાલ શરદી, ખાંસી, ઉધરસ, તાવના કેસો વધી રહ્યા છે.


દાહોદના વાતાવરણમાં પણ પલટો  આવ્યો છે. વહેલી સવાર વાદળછાયું વાતાવરણ છે. જેને લઈ ખેડૂતોમાં ચિતાંનો માહોલ છે.


 બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરુ,મગફળી,બટાકા સહિતના શિયાળુ પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.


મધ્યાહન ભોજનમાંથી નીકળ્યો મરેલો સાપ, 30થી વધારે બાળકો બીમાર


પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની એક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક મૃત સાપ મળી આવ્યો. આ ખોરાકથી 30 થી વધુ બાળકો બીમાર પડ્યા છે. બાળકોને અચાનક ઉલ્ટી થવા લાગી. આ પછી તેને રામપુરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ખોરાક બનાવનાર શાળાના કર્મચારીએ દાવો કર્યો હતો કે દાળથી ભરેલા કન્ટેનરમાં સાપ જોવા મળ્યો હતો.


બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર દીપાંજન જાનાએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન લીધા પછી ઘણા ગ્રામજનો બીમાર પડવાની ફરિયાદો મળી હતી. તેમણે આ માહિતી પ્રાથમિક શાળાઓના જિલ્લા નિરીક્ષકને આપી છે. અધિકારીએ જણાવ્યું કે એક બાળક સિવાય તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે ખતરાની બહાર છે.