અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં અનૈતિક સંબંધમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ખૂદ પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાત્રે દૂધમાં ઘેનની ગોળીઓ આપી પછી મોં પર માસ્ક પહેરાવી સેલોટેપ બાંધી અને ઓસિકાથી ગૂંગળાવી હત્યા કર્યાની કબૂલાત કરી છે. પત્નીએ પ્રેમી સાથે મળીને 19 ઓગષ્ટની રાત્રે હત્યા કરી હતી. મહિલાના પિતરાઈ ભાઈને શંકા જતા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરાઈ હતી. અરજી બાદ તપાસમાં ખુલાસો થયો છે. 


આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એ.વાય. બલોચે જણાવ્યું હતું કે, આરોપી દિપ્તી પટેલ અને પ્રેમી સૌરભ સુથાર એક જ સોસાયટીમાં પાડોશમાં રહે છે. બંને વચ્ચે 2018થી પ્રેમસંબંધ હતા. પાંચ મહિના પહેલા દિપ્તીના પતિને તેમના પ્રેમસંબંધની ખબર પડી ગઈ હતી. જેને કારણે બંને મળી શકતા નહોતા. આથી આ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. બંનેએ 17 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનથી બંનેને સંતામાં એક દીકરો અને દીકરી છે. 


બલોચે જણાવ્યું હતું કે, ગત 19-8-2021ના રોજ દૂધની અંદર ઉંઘની ગોળીઓ ભેળવીને પતિને પીવડાવી દીધી હતી. આ પછી રાત્રે દોઢ વાગ્યે પ્રેમી સૌરભ સુથારને ઘરે બોલાવી પતિને મોઢે માસ્ક બાંધી પછી સેલેટેપ વીંટળી તેમજ તકીયાથી ગુંગળાવીને મારી નાંખ્યો હતો. આ પછી સવારે 108માં હાર્ટએટેક આવ્યો હોવાનું જણાવી એસવીપી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં કુદરતી મૃત્યુની જાહેરાત કરી મરનારની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. 


બલોચે જણાવ્યું હતું કે, પતિને પ્રેમપ્રકરણની જાણ થતાં તેમણે પ્રેમી સૌરભ સુથારને ધમકાવ્યો હતો. એટલું જ નહીં, પતિ-પત્ની વચ્ચે પણ ઝઘડો થયો હતો. આ પછી તો બંનેને મળવાનું બંધ થઈ ગયો હતો. આમ પતિ આડખીલી રૂપ બનતાં પત્નીએ પ્રેમી સાથે મળીને પત્નીની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. 


તેમણે ઉંઘની ગોળીઓ ખવડાવી મારી નાંખીને કુદરતી મોત થયું હોવાની ખપાવી દેશે, તેવું વિચાર્યું હતું. આમ કરવાથી તેઓ પકડાશે નહીં અને સુખીથી જીવશે, તેમ વિચાર્યું હતું. જોકે, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બંને પ્રેમપ્રકરણમાં હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ધરપકડ કરી લીધી છે.