અમદાવાદ: ગત 2 જૂને ડોક્ટરની પત્નીએ પંખે લટકીને કરેલા આપઘાતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પરિણીતાએ પાડોશી યુવકના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવક પરિણીતાને મોબાઇલમાં તેના અર્ધનગ્ન ફોટા મોકલી અભદ્ર માંગણી કરી રહ્યો હતો. તેમજ સતત વીડિયો કોલ કરીને યુવતીને પરેશાન કરી રહ્યો હતો. આ બધાથી કંટાળી યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. 


આ અંગેની વિગતો એવી છે કે, મૃતક યુવતીના 7 વર્ષ પહેલા ડોક્ટર યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી દંપતી પાલીતાણા ખાતે રહેતું હતું. અહીં તેમણે બે દીકરાને જન્મ આપ્યો હતો. તેઓ પાલીતાણામાં લાંબો સમય રહ્યા પછી અમદાવાદના જુહાપુરામાં રહેવા આવી ગયા હતા. યુવતીના પતિએ નવરંગપુરામાં ક્લિન શરૂ કર્યું હતું, જ્યાં તેઓ નિયમિત જતાં હતા અને તેમનું જીવન પણ સારી રીતે પસાર થઈ રહ્યું હતું. 


દરમિયાન ગત 2 જૂને પરિણીતાએ પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો. ક્લિનિકથી ઘરે આવેલા પતિને દીકરાએ મમ્મી દરવાજો ખોલતી ન હોવાનું કહેતા તેમણે દરવાજો ખોલવવા પ્રયાસ કર્યો હતો. જોકે, અંદરથી દરવાજો ન ખોલતા તેમણે પાડોશીઓની મદદથી દરવાજો ખોલાવતા પત્ની પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. 


જોકે, પત્નીને ખેંચની બીમારી હોવાથી તેણે પીડાથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પરિવારે માની લીધું હતું અને કોઈ કાર્યવાહી કરી નહોતી તેમજ અંતિમવિધિ કરી નાંખી હતી. દરમિયાન યુવતીના ભાઈના હાથમાં મોબાઇલ આવી જતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 


યુવતીએ આપઘાત કર્યો તે દિવસે પાલીતાણાના યુવકે વીડિયો કોલ અને વોટ્સએપ કોલ કર્યા હતા. તેમજ યુવતીને તેના અર્ધનગ્ન ફોટા પણ મોકલ્યા હતા. આ યુવક તેની બહેન પાસે અભદ્ર માંગણી પણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ યુવકથી જ કંટાળીને આપઘાત કરી લીધો હતો. આમ, યુવકને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવતાં યુવતીના ભાઈએ પાલીતાણાના યુવક સામે પોલીસ ફરિયાદ કરી છે. સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.