અમદાવાદઃ અમદાવાદની યુવતીએ સુરતના બે વેપારીને પોતાની સાથે જલસા કરવાના બહાને અમદાવાદ બોલાવ્યા હતા. યુવતીની વાતોમાં બંને વેપારી ના આવ્યા અને બિઝનેસની જ વાત કરતાં અમદાવાદ આવેલા બંને વેપારીને યુવતી તથા તેના સાગરીતોએ ગોંધી રાખીને રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી. બંને વેપારીએ જેમ તેમ કરીને સાડા સાત લાખ રૂપિયા આપતાં તેમનો છૂટકારો થયો હતો. બંને વેપારીએ છૂટ્યા પછી યુવતી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે.


સુરતના બે વેપારી મહેશ નડીયાદરા અને ભાવેશ કપોપરા અમદાવાદના કમલેશ ગોહિલના સંપર્કમાં આવ્યા હતા. કમલેશ પહેલાં સુરત રહેતો હતો તેથી વેપારીઓના સંપર્કમાં આવ્યો હતો પણ પછી અમદાવાદ આવી ગયો હતો. દક્ષા દેસાઈ નામની યુવતી સાથે તેનો પરિચય હતો. લોકડાઉન સમયે ધંધામાં પૈસાની જરૂરિયાત હોવાથી કમલેશે દક્ષા દેસાઈની સાથે સુરત જઈને વેપારી પાસે પૈસાની મદદ માંગી.

જો કે વેપારીના પૈસા ફસાયા હોવાથી તેણે આપવાનો ઈન્કાર કર્યો હતો. કમલેશ અને દક્ષાએ વેપારીઓને પૈસા પરત અપાવવાની વાત કરીને વિશ્વાસમાં લીધા હતા. દક્ષા વેપારીઓ સાથે મીઠી મીઠી વાતો કરતી અને જલસા કરવા અમદાવાદ આવવા કહેતી હતી. કમલેશ અને દક્ષાએ હની ટ્રેપ દ્વારા વેપારીઓને ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું, બંને વેપારી અમદાવાદ આવ્યા પણ દક્ષાની જાળમા ના ફસાતાં વેપારીઓને ગોંધી રાખીને પૈસા પડાવ્યા હતા.

વેપારીઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમને ઓફિસમાં ગોંધી રાખીને માર માર્યો હતો. ત્યાર બાદ બદનામ કરવાની ધમકી આપીને રૂપિયા 50 લાખની ખડંણી માંગી હતી. વેપારીઓએ અઢી લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને પાંચ લાખ રૂપિયા આંગડીયા મારફતે આપ્યા હતા.

દરમિયાનમાં એક વેપારી ભાવેશભાઈની તબિયત લથડતા તેમને છોડી દીધા હતા.તેમણે સાત વ્યક્તિ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મનોજ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે.ખંડણી કેસમાં ઓઢવ પોલીસે કમલેશ ગોહિલ, દક્ષા દેસાઈ, મનોજ પરમાર, રાજુ ભરવાડ, ભગાભાઈ, રોહિત અને રાજુભાઈ વિરૂધ્ધ ગુનો નોંધીને મનોજ પરમાર ની ધરપકડ કરી. અન્ય આરોપી ફરાર થઈ જતા તેમની શોધખોળ શરૂ કરી છે.