અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ મહત્વનું નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 2181 લોકો પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 105 લોકોનાં મોત નિપજ્યાં છે.


મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આગળ કહ્યું હતું કે, ત્રણ મે સુધીમાં સારું પરિણામ આવશે. મોં અને નાક બંધ રાખવાની આદત પાડવી પડશે. હાલ ઈન્ફેક્શન દરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ઘરની બહાર નીકળ્યા બાદ અને ઘરે આવો ત્યારે અમદાવાદના લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈશે.

વિજય નહેરાએ મહત્વની વાત કરતાં જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટુ વ્હીલર પર એક વ્યક્તિ અને 4 વ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે. દુકાનદારોએ પણ સેનેટાઈઝરનો ઉપયોગ વારંવાર ચાલુ રાખવો પડશે. જાહેરમાં થૂંકવાની કુટેવને સંપૂર્ણ રીતે બંધ કરવી પડશે. આ માટે લૉકડાઉન ખુલશે ત્યારબાદ ભારે દંડ વસૂલ કરવા માટે ટીમો ગોઠવવામાં આવશે.

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના બંને કોરોના વાયરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવા આવ્યા હતાં. ત્યાર બાદ આજે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ ખેડાવાલાએ પ્લાઝમા ડોનેટ કરવાનો પણ નિર્ણ કર્યો છે.

અમદાવાદમાં કોરોનાના ઈન્ફેક્શનમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. લોકડાઉન ખુલે તો પણ માસ્ક પહેરવું ફરજીયાત છે. સેનિટાઈઝરનો ઉપયોગ પણ જીવનનો ભાગ છે. યુવાનો અને સ્વસ્થ લોકો કોરોનાને આરામથી માત આપી રહ્યા છે.