AMC કમિશનર વિજય નહેરા થયા હોમ ક્વોરન્ટાઈન, જાણો કોને સોંપાયો ચાર્જ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 May 2020 07:08 PM (IST)
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવ્યા બાદ બે અઠવાડિયા માટે હોમ કવોરન્ટાઈન થવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવ્યા બાદ બે અઠવાડિયા માટે હોમ કવોરન્ટાઈન થવાનો નિર્ણય કર્યો છે. મનપા કમિશનર વિજય નહેરાની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં છે.