અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાથી સારા સમાચાર આવ્યા છે. નર્મદા જિલ્લામાં આજે મહિલાએ કોરોનાને મ્હાત આપતાં જિલ્લો કોરોનામુક્ત બની ગયો છે. ભદામ ગામની મહિલાને 23 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે સ્વસ્થ થતાંમહિલાને આજે રજા આપી દેવામાં આવી છે. આ મહિલા પોતાના ગામ પહોંચી ત્યારે ગામ લોકોએ ફટાકડા ફોડી અને પુષ્પવર્ષા કરી તેનું સ્વાગત કર્યું હતું.


નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 12 પોઝિટિવ દર્દીઓ હતા. જેમણે તબક્કાવાર કોરોનાથી મુકતી મેળવી છે અને તમામ લોકો સાજા થઈ ગયા છે. આ સાથે વધુ એક જિલ્લો કોરોના મુક્ત થયો છે. અગાઉ સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં પણ કોરોનામુક્ત થયા છે.



સુરેન્દ્રનગરમાં એક કોરોનાનો દર્દી હતો, જે સ્વસ્થ થઈ ગયો છે. મોરબી જિલ્લામાં પણ એક કેસ નોંધાયો હતો, જે દર્દી પણ સ્વસ્થ થયો છે. આવી જ રીતે ગીર સોમનાથ જિલ્લાના ત્રણેય દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ પોરબંદરમાં પણ ત્રણેય દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. અહીં મહત્વની વાત એ છે કે, અમરેલી જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી હવે ગુજરાતના છ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ રહ્યો નથી.