અમદાવાદ :  રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગેનો સર્વે, કોરોનામાં લક્ષણ અંગેનો સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી. હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ કરવામાં આવતા શિક્ષક સંધ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને કોરોના કાળમાં અલગ અલગ ડ્યુટી સોંપવા મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે વધારે એક આદેશ અપાયા બાદ વિવાદ વકર્યો છે. મ્યુનિસિપલ શાળાઓમાં મધ્યાન ભોજન બંધ છે.  વિદ્યાર્થીઓ માટે અનાજની કુપન તૈયાર કરવામાં આવી છે. કુપન પ્રમાણે નક્કી કરેલી અનાજની દુકાનો પરથી વિદ્યાર્થીના વાલીઓને અનાજ આપવાનું રહેશે. 


નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાં પરિપત્રનો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં શિક્ષક મંડળે વિરોધ કર્યો છે. હાલ વેકેશન ચાલી રહ્યુ છે. જેથી હાલ પુરતું અનાજ વિતરણની કામગીરી બંધ રાખવામાં આવે અને શાળાઓ શરૂ થાય ત્યારે અનાજ વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. હાલ શિક્ષકો અન્ય કામગીરી પણ કરી રહ્યા છે તેવામાં હવે અન્ય કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 


ગુજરાતમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) ભલે છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા હોય પરંતુ તેમ છતાં અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ ચિંતાજનક છે.  અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨ લાખને પાર થઇ ગયો છે. શનિવારે ૩,૪૪૨ કેસ સાથે અમદાવાદમાં કુલ કેસ હવે ૨,૦૦,૯૨૦ છે. આમ, અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખની વસતી સરેરાશ ૨૭,૮૭૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.


 


અમદાવાદમાં કયારે નોંધાયો હતો પ્રથમ કેસ


 


અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો. આ પછી પ્રથમ ૧ લાખ કેસ આ વર્ષે ૧૮ એપ્રિલના પૂરા થયા હતા. આમ, છેલ્લા માત્ર ૨૦ દિવસમાં નવા ૧ લાખ ઉમેરાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી ૮ મે સુધી અમદાવાદમાં કોરોનાના કુલ ૧,૪૩,૧૧૧ નવા કેસ નોંધાયા છે જ્યારે ૮૩૮ના મૃત્યુ થયા છે. આ સમયગાળામાં અમદાવાદમાંથી ૮૩,૩૯૧ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. અમદાવાદમાં ૨૨ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો અને દરરોજના ૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા.


 


હાલ અમદાવાદમાં કેટલા છે એક્ટિવ કેસ


 


જોકે, ૫ મેથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસના ૩૦% માત્ર અમદાવાદમાંથી છે. હાલ અમદાવાદમાં ૬૧,૯૫૬ એક્ટિવ કેસ છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસના ૪૩.૨૦% માત્ર અમદાવાદ ધરાવી રહ્યું છે.