અમદાવાદઃ કોરોનાનો કહેર સમગ્ર ગુજરાતમાં યથાવત છે ત્યારે અમદાવાદમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. મંગળવારે વધુ એક શિક્ષકનું કોરોનાને કારણે મોત થયું છે. આ સાથે જ અમદાવાદમાં કુલ પાંચ શિક્ષક મોતને ભેટ્યા છે.


મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગરમાં આવેલી શ્રીજી પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા કોકિલાબેન પટેલ કોરોના સંક્રમિત થયા હતા જેઓનું સારવાર બાદ મંગળવારે મોત નીપજ્યું હતું.

આ પહેલા ચાર શિક્ષકો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાના બે શિક્ષકો તેમજ અમદાવાદની માધ્યમિક સ્કૂલના એક શિક્ષકનું પણ કોરોનાથી મોત થયું હતું ત્યાર બાદ તાજેતરમાં અમદાવાદ ગ્રામ્યમાં દસ્ક્રોઈ તાલુકામાં આવેલી લક્ષ્મીપુરા પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા રીટાબેન પાવાગઢીનું પણ કોરોનામા મોત થયું હતું. અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય જિલ્લાની સ્કૂલોના પાંચ જેટલા શિક્ષકો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા છે અને જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આ પહેલા ચાર શિક્ષકોને સરકારી કામગીરિન ચેપ લાગ્યો હતો જ્યારે બાપુનગરની ખાનગી પ્રાથમિક મહિલા શિક્ષિકાને કોઈ કામગીરી ન હતી પણ સામાન્ય રીતે જ ચેપ લાગતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.