અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પ્રશાસને ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી બનાવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર છેલ્લા ૨૭ દિવસમાં ૫૬૭ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. રાજધાની, મુઝફ્ફરપુર, ગોરખપુર અને હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ સ્ટેશને ઉતરેલા ૪૨ હજારથી વધુ મુસાફરોનું ટેસ્ટિંગ આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું. જેમાંથી ૫૬૭ મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા.


ગત ૭ સપ્ટેમ્બરથી અમદાવાદ રેલવે સ્ટેશને રેલવે પરિસરમાં જ મોટો શેડ બાંધીને મનપાએ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી અને અમદાવાદ સ્ટેશને હાલમાં દૈનિક ૩ ટ્રેનો આવે છે. આ ટ્રેનમાંથી ઉતરતા તમામ મુસાફરોનુ ફરજિયાતપણે 'રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ' કરવામાં આવે છે અને પોઝિટિવ દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશનના કોવિડ કેર સેન્ટરમાં લઇ જવાય છે અથવા સ્થિતિ વધુ ગંભીર જણાય તો હોસ્પિટલમાં દાખલ કરાય છે.

બાકીના સામાન્ય લક્ષણોવાળા મુસાફરોને હોમ કર્વારન્ટાઇન 'કરાય છે. જેઓનું નિયમિત ચેકિંગ અને ટેસ્ટિંગ થતું હોય છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી દ્વારા અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો થકી શહેરમાં ફેલાતા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળી છે. રાજધાની ટ્રેનમાંથી સૌથી વધુ કોરોનાના કેસ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.

રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશન પર કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશન, સાફ-સફાઇ સહિતની તમામ બાબતોનું ધ્યાન રખાઇ રહ્યું છે.