અમદાવાદઃ બનાસકાંઠાના થરાદના સણદર અને ડેલ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે મહિના અગાઉ મળેલી લાશને પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલતા કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ વ્યાસની ધરપકડ કરી લીધી છે. ઘટના એવી છે કે, બે મહિના અગાઉ મળેલી લાશનો મળી હતી, જેમાં સોનીનો ધંધો કરનારા ભાગીદારે જ ભાગીદારનું કાસળ કાઢી નાંખ્યું હતુ, થરાદ પોલીસે અત્યારે આ તમામ હત્યારા અને ભાગીદારને ઝડપી પાડ્યા છે. 


ઘટનાની માહિતી એવી છે કે, થરાદ પાસે નર્મદા કેનાલમાંથી 13 માર્ચના રોજ અમદાવાદના રહેવાસી યસ પ્રજાપતિની લાશ મળી આવી હતી. આ કેસમાં થરાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, અને જાણવા મળ્યુ હતુ કે ભાગીદારે જ ભાગીદારની હત્યા કરી કરી છે. આમાં મૂળ દિયોદરના વતની કૌશિકભાઇ રામસ્વરૂપ સોની હાલ અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહે છે. જે સોના-ચાંદી તેમજ એમસીએકસનો ધંધો કરતો હતો, અને તેની બાદમાં ઓળખાણ મૃતક યસ પ્રજાપતિ સાથે થઇ હતી, બન્નેએ પછીથી સાથે સોના-ચાંદીના ધંધાના ભાગીદારી કરી અને ધંધો ચાલુ કર્યો હતો. જોકે, આ દરમિયાન કૌશિક સોની અને યસ પ્રજાપતિ પોતાની પ્રેમિકાઓ સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા, અહીં તેમને રંગરેલિયા મનાવ્યા હતા, બાદમાં કૌશિક સોનીના પ્રેમિકા સાથેના અહીંના તમામ ફોટા સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા હતા. કૌશિક સોનીની આ તસવીરો પોતાના ભાગીદાર યશ પ્રજાપતિએ વાયરલ કરી હોવાની શંકા કૌશિકની ગઇ, જેને જેના કારણે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. 


બન્નેનો ઝઘડો થયા બાદ બન્નેને ધંધામાં પણ નુકશાન થયુ અને છેવટે બન્નેએ સોના-ચાંદીની દુકાન બંધ કરી દીધી, અને ચાંદીનો ભાગ પાડવા બાબતે ફરી એકવાર બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ દરમિયાન કૌશિક સોની અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચીટીંગના ગુનામાં પણ પકડાઇ ગયો હતો, અને સાત મહિના જેલમાં પણ રહી આવ્યો હતો. આ બધાથી તેને મોટી નુકશાન થયુ હતુ. આ તમામ બાબતોમાં કૌશિક  યસ પ્રજાપતિનો હોવાનુ માની રહ્યો હતો, અને તેને બદલો લેવાનુ નક્કી કર્યુ હતુ. પછી કૌશિક સોનીએ તેના મિત્ર દિવ્યેશ વ્યાસની મદદથી યસ પ્રજાપતિને વિશ્વાસમાં લીધો અને સમજાવી-ફોસલાવી સમાધાન કર્યુ હતુ. કૌશિક જાણતો હતો કે યસ પ્રજાપતિ પર રાજકોટમાં ચીટીંગની અરજીઓ ચાલી રહી છે, આનો લાભ લઇને કૌશિક સોનીએ યસને પોલીસની બીક બતાવી તેની પાસેથી પૈસા પડાવવાનુ નક્કી કર્યુ. આ પ્લાનમાં કૌશક સોનીએ તેના બે મિત્રો ભરતભાઇ વખતરામભાઇ વ્યાસ અને હિરેન ઠાકોરને પોલીસ બનાવી યસને ડરાવવા સામેલ કર્યા હતા. પ્લાન મુજબ દિવ્યેશ પટેલ યસ પ્રજાપતિને તેની હોન્ડા સિટી ગાડીમાં લઇને ચાણસ્મા ખાતે લઇ આવ્યો અહીં ગાડી ઉભી રખાવી ભરત તથા હિરેને પોલીસ તરીકેનો ડર બતાવીને યસ પ્રજાપતિને ગાડીમાં બેસાડીને લઇ ગયાં, આ સમયે કૌશિક સોની પણ સાથે ગાડીમાં બેઠેલો હતો. યસ પ્રજાપતિનુ અપહરણ કરી દિયોદર કૌશિકના ખેતરમાં લાવ્યા હતા, અને દિવ્યેશ પટેલ પણ પાછળથી આવ્યો હતો. 


આ ચારેય આરોપીઓએ ભેગા થઇને યસ પ્રજાપતિને ઓરડીમાં પુરી રાખી દીધો અને ગડદાપાટુનો કરવા લાગ્યા હતા. કૌશિકે બદલો લેવા માટે તેની પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી, યસ પ્રજાપતિએ પોતાના પિતાજી પાસે પચાસ હજારનુ આંગડીયુ દિયોદર કરાવ્યું હતું, અને પાંચ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા. યસ પ્રજાપતિ પાસે વધુ રોકડ ન હોઇ તેની ગાડીનો વેચાણ લેખ બધાએ ભેગા મળી બળજબરીપૂર્વક ભરત વ્યાસના નામે કરાવ્યો હતો. 


જોકે, આટલુ કર્યા બાદ આરોપીઓએ વિચાર્યુ કે જો યસ પ્રજાપતિને છોડી દેવામાં આવશે, તો તે બધા ઉપર ફરીયાદ કરશે, ડરના કારણે આરોપીઓએ યસ પ્રજાપતિનુ અપહરણ કરી ત્રણ દિવસ પુરી રાખ્યો, અને એક દિવસ રાતના બે વાગ્યે ચારેયએ કેનાલ ઉપર જઇ યસ પ્રજાપતિને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરીને ભાગી ગયા હતા. જોકે, બાદમાં યસ પ્રજાપતિની લાશ કેનાલમાંથી મળતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, અને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ વ્યાસની ધરપકડ કરી હતી.