અમદાવાદમાં કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફિ માફીની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરવામાં આવશે. ચાલુ વર્ષે શાળાઓમાં ફિનો મુદ્દો વધુ વેગ પકડે તે પહેલા જ અમદાવાદના ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. 


અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન "સંગાથ' શરૂ કરવા જઇ રહ્યુ છે. જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કે જેમને કોરોનાકાળમાં પોતાના માતા અથવા પિતા ગુમાવ્યા છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફિ માફ કરવાનો નિર્ણય લીધો છે. સાથે-સાથે આ પ્રકારના કિસ્સા ધરાવતા જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20ની ફિ ભરી હશે, તે પણ પરત કરવામાં આવશે. આગામી સમયમાં રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી રાજ્યભરમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.


ભૂતકાળમાં થયેલ અનુભવોના આધારે શાળા સંચાલક મંડળ જે વિદ્યાર્થીના માતા-પિતાને કોરોના થયો છે, તે મહિનાની ફીમાંથી પણ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ સંચાલક મંડળ તરફથી શહેરની ખાનગી શાળામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરાઇ રહી છે. વિદ્યાર્થીએ શાળામાં તેના માતા-પિતાના મૃત્યુનું ડેથ સર્ટિફિકેટ શાળામાં આધાર પુરાવા તરીકે દર્શાવશે તો તેને આ લાભ આપવામાં આવશે. આ બાબતે શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલનું કહેવું છે કે બાળકોએ શાળા પરિવારના સભ્ય છે, જેના માટે લાગણી છે.


છેલ્લા 24 કલાકમાં 2521  નવા કેસ


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2521  નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9761 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 7965 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 7,50,015 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 43611 પર પહોંચ્યો છે. જેમાંથી 562 દર્દી વેન્ટિલેટર પર અને 43049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.36  ટકા છે.