અમદાવાદના વિશાલા નારોલ નેશનલ હાઇવેનો બ્રિજ જર્જરિત થવા મામલે મોટો નિર્ણય લેવામા આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, વિશાલા નારોલ નેશનલ હાઇવે પરના બ્રિજ પરથી ભારે વાહનોના અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ મુક્યો હતો. ફક્ત ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ વાહન બ્રિજ પરથી પસાર થઇ શકશે.


બ્રિજ પરથી લોડિંગ રીક્ષા, ટ્રક, બસ બ્રિજ ઉપરથી પસાર થઇ શકશે નહીં. કોઈ પણ સૂચના વગર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વર્ષ 1970 માં બનેલા બ્રિજ ઉપર હાલ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છેલ્લા દોઢ વર્ષમાં બે વખત ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી નથી. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ વર્ષ 2015માં બ્રિજના સમારકામ માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી હતી. આગામી 13 જૂનના રોજ બ્રિજના ટેન્ડર માટે ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.


શિવરંજની ચાર રસ્તા પાસે ભુવો પડતા લોકોને હાલાકી


અમદાવાદઃ શહેરમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા ભુવા પડવાનું શરૂ થઇ ગયું છે. મળતી જાણકારી અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં નાના મોટા 19 જેટલા ભુવા પડ્યા છે.


શહેરના શિવરંજની ચાર રસ્તા અને કર્ણાવતી ક્લબની સામે ભુવા પડ્યા હતા. વ્યસ્ત રહેતા આ વિસ્તારોમાં ભુવો પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિવરંજની વિસ્તાર  બીઆરટીએસ તેમજ વાહન ચાલકોથી સતત ધમધમતો હોય છે અને ચાર રસ્તાની વચોવચ ભુવો પડતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. કર્ણાવતી ક્લબની સામે ભૂવો પડતાં બેરિકેડ મુકવામાં આવ્યા હતા. ભારે અવર-જવર વાળા વિસ્તારમાં ભુવો પડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ચોમાસું આવે એ પહેલા જ AMC નો મોટો નિર્ણય


Ahmedabad Municipal Corporation: ચોમાસાના આગમન પહેલા જ AMCના વર્ગ એકથી ચારના અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તરફથી આદેશ કરાયો છે. જેમાં 5 જૂનથી ચોમાસાની ઋતુ સુધી અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. જ્યારે વર્ગ 1ના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો વર્ગ 2 ના અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઝોનલ ઓફિસ, વડી કચેરીઓ, સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી પર નજર રાખવા સૂચના અપાઈ છે. વર્ગ 3 અને 4 ના કર્મચારીઓએ રજા માટે ઉપરી અધિકારીઓની ફરજીયાત મંજૂરી લેવા પરિપત્ર જાહેર કરાયો છે.


થોડા દિવસ પહેલા અમદાવાદમાં વરસાદ પડ્યો હતો ત્યારે એક કલાકના તોફાની તાંડવમાં તો જાણે અમદાવાદ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના તમામ દાવાઓની પોલ ખૂલી પડી ગઈ હતી. શહેરમાં વરસેલા એકથી બે ઈંચ વરસાદમાં તો સ્માર્ટ સિટી અમદાવાદના દાવાની પોલ ખૂલી ગઈ. શહેરમાં એક પણ સ્થળે પાણી ન ભરાયાના દાવાની વચ્ચે વાસ્તવિકતા એ જોવા મળી કે બે ઈંચ વરસાદમાં જ જાણે સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ ગયું.


શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. હાટકેશ્વર સર્કલ, ખોખરા રુક્મણીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હાટકેશ્વર, ખોખરા, CTM, જામફળવાડી, જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ સાથે જ તળિયાની પોળ સારંગપુર નાના પોરવાડનો ખાંચામાં એક મકાનનો ભાગ ધરાશયી થયો.


આ ઉપરાંત તોફાની તાંડવમાં અનેક સ્થળે હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા.  રસ્તામાં ટ્રાફિક નિયમન માટે રાખેલા બેરિકેડ પણ તોફાની પવની ઝપટે ચડી ગયા. પવનના કારણે ઠેર- ઠેર વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થઈ ગયા.  વૃક્ષો તૂટીને રસ્તાઓ પર પડતા અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાયો હતો