અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને આજે 101 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાત કરી હતી. આ સમયે તેમણે રાજનીતિમાં ફરીથી પ્રવેશ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. પત્રકાર દ્વારા રાજનીતિમાં ક્યારે પરત ફરશો, તેવું પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, રાજનીતમમાં ક્યારે પાછો આવીશ તે કહી શકાય નહીં. જેમ આમા ટાઇમ લાગ્યો, એમ એમાં કેટલો ટાઇમ લાગ છે એ નક્કી કરી શકાય નહીં.


નોંધનીય છે કે, આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે, ત્યારે તેમના આ નિવેદનને ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવાર હેઠળ હતા. 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં, પરંતુ એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ કરાયા છે.

તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોના અને અન્ય બિમારીની સારવાર બાદ ભરતસિંહની તબિયતમાં સુધારો થતાં તેમને ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ભરતસિંહને કોરોનાની સાથે બીજી બીમારીઓ પણ હોવાથી તેમને સાજા થવામાં બે મહિનાનો સમય લાગ્યો છે. માત્ર એટલું જ નહીં, સતત સારવારને કારણે તેમનું શરીર પણ નબળું પડી ગયું હતું અને એક તબક્કે તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. ત્યારે તેમની ફિઝિયોથેરપી સારવાર કરાઈ હતી.