Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આપમાં ભડકો થયો છે. આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ગઈ કાલે ખેડા,અમદાવાદ અને જેતપુરના અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. તો બીજી તરફ આજે ફરી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.




આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપમાંથી રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. ભેમાભાઈએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી આપને બાય બાય કરી દીધુ હતું. તમને જણાવી દઈએ કે, ભેમાભાઈ 2012થી આપ સાથે સંકળાયેલા હતા. વિધાનસભાં સહીત અનેક ચૂંટણીઓમાં તેમણે સક્રીય ભુમિકા ભજવી હતી. લોકસભાની ચૂંટણીઓના ભણકારા વચ્ચે બનાસકાંઠા આપનો મોટો ચહેરો ગણાતા ભેમાભાઈના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય હડકંપ આવ્યો છે. 


આ અવસરે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને ચૌધરી સમાજના આગેવાન નેતા ભેમાભાઇ ચૌધરીનું કોંગ્રેસમાં સ્વાગત છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની અસ્મિતાનું પુનઃ સ્થાપન કરવા સેવા યજ્ઞની શરૂઆત કરી છે. યુવાનો મહેનત કરી પરીક્ષા આપવા જાય અને પેપર ફૂટી જાય છે. ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી. સત્તા છીનવી લેવા માટે નહીં પણ સેવા માટે સામાજિક આગેવાનો જોડાઈ રહ્યા છે. તો બીજી તરફ AICC દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, દરેક રાજ્યમાં હાથ સે હાથ જોડો યાત્રા શરુ કરવામાં આવશે. ગુજરાતમાં આ યાત્રા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કનવીનર તરીકે નિમણુક કરવામાં આવી છે.


 20થી વધુ આપ નેતા અને સામાજિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા


શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો શરુ થયો છે. ખેડા, આણંદ, અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા છે. 20થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણી કોંગ્રેસમાં જોડાતા લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.





કોંગ્રેસ માં જોડાનારના નામ


 



  • જયેશ ઠાકોર, લીંબડી વિધાનસભા 

  • નલિન બારોટ,  ખેડા જિલ્લા પ્રમુખ

  • સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ

  • દિનેશ પરમાર, જનરલ સેક્રટરી ખેડા આપ

  • પ્રકાશ પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી 

  • લક્ષ્મણ ચૌહાણ, એજ્યુકેશન સેલ આપ

  • મંત્રી પ્રમોદભાઈ ત્રાડા,શહેર સંગઠન મંત્રી,જેતપુર


આજે આ તમામ નેતાઓએ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તો બીજી તરફ સરકારને દંડ ફટકાર્યો તેના પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારે નર્મદા બંધનું કામ પૂર્ણ કર્યું હતું. ભૂર્ગભજળની અવ્યવસ્થાને કારણે ગુજરાતને  12.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ગુજરાત સરકારે પ્રજાની માફી માંગવી જોઈએ. જળવ્યવસ્થાપન ગુજરાતમાં થાય તો ખેડૂત અને પશુપાલન ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થશે.


જેતપુરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ