અમદાવાદ: વર્તમાન સમયમાં સરોગેસી દ્વારા માતા-પિતા બનવાનું ચલણ વધ્યું છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ સરોગેસી દ્વારા માતા પિતા બને છે. કોઈ કારણસર સંતાન સુખ ન મેળવી શકતા દંપત્તિ સરોગેસી દ્વારા  સંતાન સુખ મેળવે છે. હાલમાં સરોગેસી બાદ બાળકની કસ્ટડી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે બાળકની કસ્ટડી જૈવિક પિતાને સોંપવાનો આદેશ કર્યો છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાક રાજસ્થાનના યુગલને લગ્નનાં વર્ષો બાદ પણ બાળક ન થતા સરોગસી દ્વારા બાળક લેવાનો નિર્ણય કર્યો હતો. સરોગેટ માતાએ બાળકને જન્મ આપતાં થોડા સમય પહેલા ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. બાળકના જન્મ બાદ તેની કસ્ટડી પિતાને આપવા માટે પોલીસે ઇન્કાર કર્યો હતો. જે બાદ તેમણે સમગ્ર મામલે હાઈકોર્ટનું શરણ લીધું હતું. જે બાદ કોર્ટે કહ્યું કે, સરોગેસીની પ્રક્રિયામાં થયેલા કરાર અનુસાર બાળકના જન્મ બાદ કોઈપણ ભોગે તેની કસ્ટડી તેના માતા-પિતાને સોંપવામાં આવે. તેથી બાળકને તેના જૈવિક પિતાને સોપવામાં આવ્યું હતું.


રાજકોટના વિદ્યાર્થીને ગે એપ ડાઉનલોડ કરવી પડી ભારે
રાજકોટ: આજના યુગના વિદ્યાર્થીઓ કઈ દિશામાં જઇ રહ્યા છે તેનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે, રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ગે પાર્ટનરને મળવા ગયેલા છાત્રને ગોંધી રાખી વિડીયો ઉતારી બ્લેક મેઈલિંગ કરવામાં આવ્યો હતો. અર્ધ નગ્ન હાલતમાં વિડીયો ઉતારી વાયરલ નહીં કરવા માટે રૂપિયા 50 હજાર માંગ્યા હતા. હાલમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ટોળકીના ચાર શખ્સને સંકજામાં લીધા છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૂળ સાયલા પંથકનો રહેવાસી અને હાલ રાજકોટના કુવાડવા રોડ પર રહેતો 21 વર્ષીય વિદ્યાર્થી આ ઘટનાનો ભોગ બન્યો છે.  આ યુવકે એક ગે યુવાનોને લગતી એપ્લિકેશનમાં રજીસ્ટેશન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ એપમાં ગે યુવકો હોય છે. હવે આ યુવકે જેવુ રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તેને HI લખીને એક મેસેજ આવ્યો, બાદમાં આ યુવકને મળવા બોલાવ્યો. જેવો યુવક સામેવાળા વ્યક્તિ મળવા ગયો ત્યારે ત્યાં હાજર ચાર યુવકોએ તેને અર્ધ નગ્ન કર્યો અને વિડીયો ઉતારી બાદમાં બ્લેક મેઈલ કરી રૂપિયા માગવામાં આવ્યા હતા. પીડિત યુવકની ફરિયાદ બાદ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે આ ટોળકીમાં કોણ કોણ સંડોવાયેલુ છે તે બાબતે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલીમાં બની કાળજું કંપાવી દેતી ઘટના
 અમરેલીના ખંભાળીયા ગામે કરૂણાંતિક સર્જાઈ હતી.  ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ખેતરમાં પાણી નિકાલ માટેના ખાડામાં પગ લપસતાં મોત થયા હતા. જેના કારણે પરપ્રાંતીય આદિવાસી પરિવારમાં  માતમ છવાઈ ગયો હતો. ગામમાં મજૂરી અર્થે આવેલો પરિવાર મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકોના નામ નિલેશભાઈ માનસિંગભાઈ પારધી (ઉં.વ.10), સમીરભાઈ રાકેશભાઈ પારધી (ઉં.વ.5) અને મીનાક્ષીબેન રાકેશભાઈ પારધી (ઉ.વ.7) હોવાનું જાણવા મળ્યું છે.