અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, ગુજરાતમાં કોરોનાના નવા કેસો સામે દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. તેમજ અત્યારે આ દર 86 ટકાને પાર થઈ ગયો છે.


એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસથી નવા આવનારા કેસો કરતા વધુ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ, ગુજરાતમાં 16,485 એક્ટિવ કેસો છે. ગઈ કાલે નવા 1311 કેસ નોંધાયા હતા. જેની સામે 1414 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે રાજ્યનો સાજા થવાનો દર 86.35 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ, 1,26,657 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. ગુજરાતમાં હાલ, અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. પરંતુ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે.



ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. ગઈ કાલે રાજ્યમાં 1311 કોરોના કેસ નોંધાયા હતા. તેમજ વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3531 પર પહોંચ્યો છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,399 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,46,673 પર પહોંચી છે.



ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, મહેસાણામાં 1, સુરતમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં 173, સુરતમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 80, જામનગર કોર્પોરેશનમાં 65, મહેસાણા 53, રાજકોટ 48, વડોદરા 43, અમરેલી 33, બનાસકાંઠામાં 33, જામનગરમાં 28, ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં 27-27 કેસ નોંધાયા હતા.