અમદાવાદ: બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર કરવામાં આવેલ એર સ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો હતો. ભાજપે પ્રથમ વખત આતંકીઓના મોતનો આંકડો જાહેર કર્યો છે. અમદાવાદમાં અમિત શાહે કહ્યું હતું કે, આતંકી સામે થયેલ એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકીઓને ઠાર કર્યા હતાં. આ ઉપરાંત અમિત શાહે મમતા બેનર્જી અને રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યાં હતાં.




અમિત શાહે કહ્યું હતું કે, પુલવામા હુમલા બાદ લોકોને લાગી રહ્યું હતું કે, આ વખતે સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકશે નહીં જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13માં દિવસે જ એર સ્ટ્રાઈક કરી હતી જેમાં 250થી વધારે આતંકી ઠાર કર્યા હતાં.



અમિત શાહે કહ્યું હતું કે, પાકિસ્તાન આજે દુનિયાભરના દેશોમાં અલગ પડી રહ્યું છે, આ બીજેપીની આતંકવાદ વિરૂદ્ધ કુટનીતિની જીત છે. ઈમરાન ખાન શાંતિની વાત ન કરે ફક્ત જવાનોના શહાદત પર દુખ વ્યક્ત કરી દે અને 10 દિવસમાં જ અઝહર મસૂદને જેલમાં પૂરી દે.



વિપક્ષ પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું હતું કે, મમતાજી એર સ્ટ્રાઈકના પુરાવા માંગે છે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, બીજેપી આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. એસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે, આ મુદ્દે તપાસ થવી જોઈએ. જ્યારે આ પ્રકારના સમાચાર સાંભળવા મળે ત્યારે શરમ આવે છે. આ પ્રકારના નિવેદનોથી પાકિસ્તાનને ફાયદો મળી રહ્યો છે.