ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણીને કારણે ગુજરાત કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે. રવિવારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં અને સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે.


આ રાજકીય ઉથલ પાથલના કારણે હવે કોંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. અલબત્ત કોંગ્રેસ ધારે તો હજુ પણ પોતાના બંને ઉમેદવારોને જીતાડી શકે છે. આ માટે કોંગ્રેસે પોતાના એક પણ ધારાસભ્યનું રાજીનામું ના પડે અથવા પોતાના મહત્તમ એક ધારાસભ્યનું રાજીનામું પડે અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બંને ધારાસભ્યોના મત તેને મળે એવી સ્થિતી સર્જવી પડે.

કોંગ્રેસનો પાંચ ધારાસભ્યોના રાજીનામા સાથે વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 175 થઈ ગઈ છે. વધુ એક રાજીનામું પડે તો સભ્ય સંખ્યા 174 થાય. રાજ્યસભાના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હવે કુલ 174 ધારાસભ્યો છે અને પાંચ ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને 35 મત મળે તો ઉમેદવાર જીતી શકે.

ભાજપના 3 ઉમેદવારે જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલમાં ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104 પર પહોંચે અને ભાજપે જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે.

કોંગ્રેસ પાસે હાલ 68 ધારાસભ્યો છે અને વધુ એક ધારાસભ્ય જાય તો 67 થાય. કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 35×2 એટલે કે 70 મત જોઈએ. અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ઉમેદવારને મત આપશે એ નક્કી છે. હવે બીટીપીના બંને ધારાસભ્યો કોંગ્રેસને પડખે રહે તો કોંગ્રેસના સમર્થનમાં 70 મત પડે ને કોંગ્રેસ જીતી શકે.