અમદાવાદ: દધીચિ બ્રિજ પાસે કાર ચાલકે તાપણું કરતાં 5 લોકોને લીધા અડફેટે, જાણો પછી કાર ચાલકનું શું થયું?
abpasmita.in | 27 Dec 2019 08:56 AM (IST)
વાલ્મીકિ વાસમાં ઝડપી દોડી રહેલી આઈ-20 કાર ઘુસી જતાં તાપણું કરી રહેલા 4થી 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં.
અમદાવાદ: ગુરૂવારે મોડી રાત્રે અમદાવાદના દધીચિ બ્રિજ પાસેના વાલ્મીકિ વાસમાં ઝડપી દોડી રહેલી આઈ-20 કાર ઘુસી જતાં તાપણું કરી રહેલા 4થી 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જ્યારે પાર્ક કરેલા 3-4 વાહનોનો ફુક્કો થઈ ગયો હતો. કાર ખૂબ જ સ્પીડમાં હોવાને કારણે કારનું પાછલું વ્હીલ પણ તૂટી ગયું હતું. જોકે કાર ચાલકે આ અકસ્માત કેવી રીતે કર્યો તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી. લોકોએ ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. કાર ચાલકને પણ ઈજા પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. દધીચિ બ્રિજના છેડે આવેલા વાલ્મીકિ વાસમાં એક પ્રસંગ હોવાથી લોકો ઓટલે બેસીને તાપણું કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બ્રિજ તરફથી એક કાર ઓટલા સુધી ધસી આવી હતી અને ઓટલાને અથડાઈને ઊભી રહી ગઈ હતી. જેને લઈને ઓટલા પર બેઠેલા 4થી 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે સ્થાનિક લોકોએ ચાલકને પકડી લીધો હતો અને પોલીસને બોલાવી સોંપ્યો હતો.