અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 48 કેસ નોંધાયા છે. 97 દિવસ પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. જૂનના એક અઠવાડિયામાં 262 કેસ નોંધાતા જ મનપા સંચાલિત હોસ્પિટલોમાં માસ્ક ફરજિયાત કરવા વિચારણા શરૂ કરાઈ છે. એસવીપી, એલ.જી. શારદાબેન સહિતની હોસ્પિટલમાં આવતા અઠવાડિયાથી માસ્ક ફરજિયાત કરવા મ્યુનિ.માં વિચારણા શરૂ થઈ છે. કોરોનાના દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાય તો હાલ એસવીપીમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરી છે. તો આ તરફ બુધવારથી જ ગીતા મંદિર એસટી સ્ટેન્ડ અને કાલુપુર ખાતે ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા છે. પ્રથમ દિવસે 74 લોકોના ટેસ્ટ કર્યા હતા જેમના રિપોર્ટ 24 કલાક બાદ આવશે. જો કે કેસ વધશે તો શહેરમાં ડોમની સંખ્યા પણ ચોક્કસથી વધશે અને ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે.


ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો


છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે છેલ્લા ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના 111 નવા કેસ નોંધાયા છે. આ કુલ કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 48 કોરોના કેસ આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગઈકાલે અમદાવાદ જિલ્લામાં 02, વડોદરા શહેરમાં 25, સુરત શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7, ગાંધનગર શહેરમાં 5, વલસાડમાં 5, આણંદમાં 2, જામનગર શહેરમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2 અને જામનગર, મોરબી અને મહેસાણામાં 1-1 નવા કોરોના કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. મહત્વનું છે કે, ગઈકાલે અમદાવાદ શહેરના કુલ કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે.


ગઈકાલે કુલ 29 દર્દી સાજા થયા


આ સાથે રાજ્યમાં ગઈકાલે કુલ 29 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 23, વડોદરા શહેરમાં 1, ગાંધીનગર શહેરમાં 1, સુરત શહેરમાં 1, સુરત જિલ્લામાં 1 દર્દી મળી કુલ 29 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 445 પર પહોંચ્યો છે જેમાં હાલ કોઈ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામ 445 દર્દીઓ હાલ સ્ટેબલ છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14, 309 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 10944 દર્દીઓનાં મોત થયાં છે.


કોરોના રસીકરણની વાત કરીએ તો, ગઈકાલે રાજ્યમાં ગઈકાલે કુલ 46,347 દર્દીઓનું રસીકરણ થયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,03,27,346 લોકોનું કોરોનું રસીકરણ કરવામાં આવ્યું છે.