અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અપાવીને વિદેશ મોકલનારી કંપનીઓ પર CID ક્રાઈમે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલ લક્ષ્મી ઓવર્સીસના સંચાલક દિનેશભાઈ બાબુભાઈ બલદાણીયા સામે ફરિયાદ નોધાઇ છે. કંપનીના સંચાલક દિનેશ બલદાણીયાની ધરપકડ કરી હતી. ઇમિગ્રન્ટ્સને યુએસ, યુકે અને કેનેડા જેવા દેશોમાં મોકલવાના બનાવટી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમના દરોડામાં સ્ટુડન્ટ્સના 8 ઝેરોક્ષ સેટ, પાસપોર્ટ અને ફાઈલ માર્કશીટ પ્રમોશનલ લેટર, SBI બેન્કના લોન સેન્કશન લેટર પણ મળી આવ્યો હતો. 


મજબૂત પ્રોફાઇલ બનાવવા માટે નકલી દસ્તાવેજો બનાવતા


સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે વિદેશી દેશોમાં સ્થાયી થવા માંગતા લોકોની સંખ્યા છે, ત્યારે વિદ્યાર્થી વિઝા અથવા વર્ક પરમિટ મેળવતી વખતે એવી કંપનીઓ છે કે જેઓ મોટી રકમની સામે તેમની મજબૂત પ્રોફાઇલ બનાવવા માટે નકલી દસ્તાવેજો બનાવે છે. એવી પણ વાત સામે આવી છે કે આવી કન્સલ્ટન્સી ફર્મ વિદેશ પ્રવાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની નકલી માર્કશીટ બનાવે છે. 


15મી ડિસેમ્બરના રોજ સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ મળેલ શંકાસ્પદ દસ્તાવેજોના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે.  સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન 7 મોબાઈલ ફોન, ત્રણ લેપટોપ,  પાંચ હાર્ડ ડિસ્ક, બે કોમ્પ્યુટર જપ્ત કરવામા આવ્યા છે. 


ખોટા દસ્તાવેજો બનાવતા


યુએસએ, યુકે, કેનેડા જેવા દેશમાં વર્કશોપ પરમીટ સ્ટુડન્ટ વિઝા જુદા જુદા પ્રમાણપત્રોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી તૈયાર આપવાની કામગીરી કરતા હતા. સ્ટુડન્ટ્સના 8 ઝેરોક્ષ સેટ, પાસપોર્ટ અને ફાઈલ માર્કશીટ પ્રમોશનલ લેટર, SBI બેન્કના લોન સેન્કશન લેટર પણ મળી આવ્યો હતો. એક્સપિરિયન્સ લેટર અને લોનના લેટર ખરાઈ કરતાં બનાવટી હોવાનું સામે આવ્યું છે.  


વિઝા કન્સલન્ટસીઓ પર દરોડા


સીઆઈડી ક્રાઈમ અને ગુજરાત પોલીસ દ્વારા હાલમાં રાજ્યમાં નકલી ઈમિગ્રેશન એજન્ટો અને ગેરકાયદેસર માઈગ્રેશનનું કામ કરતાં એજન્ટો પર તવાઈ ચાલી રહી છે. જેમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજ્યમાં વિવિધ 17 વિઝા કન્સલન્ટસીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નકલી પાસપોર્ટ ઉપરાંત અન્ય નકલી દસ્તાવેજો અને માર્કશીટ્સ મળી આવ્યા હતા.  


રાજ્યમાં વિદેશ જવાનો જે ક્રેઝ છે તેનો લાભ લેભાગુ અને બોગસ એજન્ટો પર ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં આવા એજન્ટોની સંખ્યા પણ વધી છે. લોકો ગેરકાયદેસર વિદેશ જવા માટે લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે તેવામાં ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો પણ સામે આવતી હોય છે. આ ઉપરાંત કાયદેસર રીતે વિદેશ જવા ઈચ્છતા લોકો પણ ક્યારેક આવા એજન્ટોના હાથે ચડી જતાં હોય છે અને ઠગાઈનો ભોગ બનતા હોય છે.