અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વિજય રૂપાણી સરકારે અમદાવાદના કોટ વિસ્તાર તથા દાણીલીમડા વિસ્તારમાં 21 એપ્રિલ સુધી કરફ્યુ લાદી દીધો છે. આ કરફ્યુનો અમલ આવતી કાલે 15 એપ્રિલથી થશે.


અમદાવાદના કોટ વિસ્તારમા સતત વધતા કેસોના પગલે રૂપાણી સરકારે કોરોના નાથવા માટે આક્રમક રણનીતિ અમલી બનાવી છે. આ રણનીતિના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે જ કોટ વિસ્તારમા કરફ્યુ લાદવાનો નિર્ણય લઈ લીધો હતો. રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તથા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે કોટ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે જ કરફ્યુ લાદવાનો તખ્તો ઘડાઈ ગયો હતો.



દરમિયાનમાં રૂપાણીએ આજે પોતાના બંગલે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને મળવા બોલાવ્યા હતા. રૂપાણીએ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને તાત્કાલિક રીતે મળવા તેડું મોકલ્યું હતું. રૂપાણીએ જેમને બોલાવ્યા છે તેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્યઇમરાન ખેડાવાલા, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો સમાવેશ થાય છે.



અમદાવાદમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા હોટ સ્પોટ વિસ્તારોમાં વધી રહી છે. ઇમરાન ખેડાવાલાના જમાલપુર મતવિસ્તાર,  ગ્યાસુદિન શેખના દરિયપુર મતવિસ્તાર અને શૈલેષ પરમારના દાણીલીમડા બેઠકના મતવિસ્તારમાં મહત્તમ હોટ સ્પોટ આવે છે. આ ત્રણેય મતવિસ્તારમાં કોરોના કાળ બની ત્રાટક્યો છે ત્યારે તેને નાથવા માટે શું કરવું તેની ચર્ચા કરવા માટે રૂપાણીએ તેમને બોલાવ્યા હતા. તેમની સંમતિ પછી તેમના વિસ્તારોમા કરફ્યુ લાદી દેવાયો છે.