અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાનો ફેલાવો અટકાવવામાં માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેની વચ્ચે અનેક સંસ્થાઓ જરૂરીયાતોની મદદ માટે આગળ આવી છે. ત્યારે અમદાવાદ સ્થિત મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા ‘શાંતિ બિઝનેસ સ્કૂલ’ દ્વારા જરૂરિયાતમંદો માટે કોમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવ્યું છે.


કોમ્યુનિટી કિચન દ્વારા દરરોજ 200 જેટલા લોકો માટે ભોજન પૂરૂ પાડવામાં આવે છે. દરરોજ  ફૂડ પેકેટ બનાવી કેમ્પસની આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. કેમ્પસ સાથે સંકળાયેલા સફાઈ કર્મીઓ, માળી, ચોકીદાર વગેરે માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.



શાંતિ બિઝનેસ સ્કૂલના ડાયરેક્ટર ડો. નેહા શર્મા એ કહ્યું કે કોવીડ-19 મહામારી દ્વારા ઉદ્દભવેલી મુશ્કેલ પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સંભાળ રાખવી એ આપણા બધાની નૈતિક જવાબદારી અને ફરજ છે. મેનેજમેન્ટ દ્વારા પુરા કેમ્પસને સેનિટાઇઝ પણ કરવામાં આવ્યું  છે. સ્કૂલ દ્વારા સમયાંતરે લોકસેવાના કાર્યો કરવામાં આવે છે.



ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવાર સાંજ સુધીમાં દર્દીઓની સંખ્યા વધીને 175 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે.