અમદાવાદ: રાજ્યમાં ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકરાણમાં એન્ટ્રી કરી રહ્યા છે. જો કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે હજી નક્કી નથી. આ પહેલા સીઆર પાટીલ અને પૂર્વ સીએમ રૂપાણીએ પણ નિવેદનો આપ્યા હતા. પરંતુ નરેશ પટેલે હજી કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ અંગે જ્યાં અટકળો ચાલી રહી છે ત્યાં હવે એવી માહિતી સામે આવી છે કોંગ્રેસના કાર્યાકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાર્દિકને આપમાં જોડવા ઈચ્છતા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત હાર્દિક અને કેજરીવાલ વચ્ચે પ્રાથમિક વાટાઘાટો પણ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. સુત્રોના મતે પંજાબમાં આપના શાનદાર પ્રદર્શન બાદ હાર્દિક આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા હોવાની અટકળો ચાલી રહી છે.


હવે AAPની નજર ગુજરાત પર 


પંજાબમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. ગુજરાતના વર્ષ 2022ના અંતમાં વિધાનસભા ચૂંટણી થવા જય રહી છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમો શરૂ કરી દીધા છે. અને હવે એવા પણ સમાચારો મળી રહ્યાં છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાત આવશે. 


અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે


આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો અમદાવાદમાં કાર્યક્રમ યોજાશે. 2 અથવા 3 એપ્રિલે આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને માન અમદાવાદ આવશે. અમદાવાદમાં  દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રીનો મોટો રોડ શો અથવા પ્રંચડ રેલી કરવાનું આયોજન છે. 


ગુજરાતમાં AAP મજબૂત કરવા કવાયત


દેશમાં હાલ ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ટ્રેન્ડમાં પંજાબમાં AAP આગળ અને ઉત્તરપ્રદેશ,  ગોવા, મણીપુર, ઉત્તરાખંડમાં ભાજપ આગળ છે. પંજાબમાં AAPએ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. હવે પંજાબ બાદ AAPની નજર દેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર રહેશે, જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા તરત જ કવાયત હાથ ધરશે.