અમદાવાદ: કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. એબીપી અસ્મિતા પાસે EXCLUSIVE જાણકારી આવી છે કે, કોંગ્રેસ નેતા સચિન પાયલટ અચાનક અમદાવાદ મુલાકાતે આવ્યા હતા. પ્રોટોકોલ વગર સચિન પાયલટ અમદાવાદ આવતા રાજકારણ ગરમાયું છે. સચિન પાયલટની અચાનક અમદાવાદ મુલાકાતથી ચર્ચાઓએ  જોર પકડ્યુ છે. બુધવારે રાત્રે અમદાવાદ આવ્યા બાદ આજે સવારે દિલ્લી પરત ફર્યા હોવાની માહિતી સામે આવી છે.




સચિન પાયલટની ગુજરાત મુલાકાત સામાજિક હતી કે રાજકીય? તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સચિન પાયલટ અમદાવાદમાં કોને કોને મળ્યા તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે.  નોંધનીય છે કે, છેલ્લા ગણા સમયથી રાજસ્થાનમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત આ વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને હારનો પણ સામનો કરવો પડ્યો છે. જેથી સચિન પાયલટની આ મુલાકાતને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. 


તમને જણાવી દઈએ કે, સચિન પાયલટ આ પહેલા પાર્ટી સામે બળવો કરી ચૂક્યા છે. જો કે. તે વખતે પાર્ટી હાઈ કમાન્ડે મામલો થાળે પાડી દીધો હતો. આ પછી પણ અશોક ગેહલોત સચિન પાયલટ વિશે ઘણીવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચૂક્યા છે. આમ બન્ને વચ્ચે હજુ પણ સંબંધો સારા ન હોવાની વાત સ્પષ્ટ થઈ છે.


રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટ ફરી એકવાર ટોંક વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. તેમણે આ વખતે ભાજપના અજીત સિંહ મહેતાને 29,475 મતોથી હરાવ્યા હતા. સચિન પાયલોટને કુલ 1 લાખ 5 હજારથી વધુ વોટ મળ્યા જ્યારે ભાજપના ઉમેદવારને માત્ર 75 હજાર વોટ મળ્યા. સચિન પાયલટ 2018માં પણ અહીંથી ઉતર્યા હતા. આ વખતે તેમનો મુકાબલો ભાજપના અજીત સિંહ મહેતા સાથે હતો. ગુર્જર સમરમાંથી આવતા સચિન પાયલટનો રાજ્યમાં મોટો પ્રભાવ રહ્યો છે.


તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા સચિન પાયલટે 2018માં ટોંક સીટ પરથી 54 હજાર મતોના માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેમને વસુંધરા રાજેના નજીકના ગણાતા ભાજપના યુનુસ ખાને પડકાર ફેંક્યો હતો. ટોંક, દૌસા સહિત અનેક જિલ્લાઓમાં સચિન પાયલટનો પ્રભાવ મોટો છે. તો બીજીતરફ ગુર્જર સમુદાય ઉપરાંત અન્ય સમાજના લોકો પણ તેમના સમર્થનમાં રહ્યા છે. તેઓ યુવા નેતા તરીકે પણ લોકપ્રિય છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial