અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસે 3 બેઠકો ગુમાવી, જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Feb 2021 10:10 PM (IST)
સોમવાર ફોર્મ ચકાસણીના દિવસે સરદાનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા.
અમદાવાદ ના નારણપુરા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ના મહિલા ઉમેદવાર પુષ્પા બેનનું ફોર્મ રદ્દ થયા બાદ બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવલે ફોર્મ પરત ખેંચતા ભાજપે ચૂંટણી અગાઉ જ આ બેઠક કબજે કરી લેતા 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની આ પ્રથમ જીત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના બ્રિંદા સુરતી બિનહરીફ થયા છે. જેને કારણે તેઓ વગર મતદાને વિજેતા બની ગયા છે. તેમની સામે કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ વિજેતા બન્યા છે. હવે નારણપુરા વોર્ડમાં 3 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. બીજી તરફ સોમવાર ફોર્મ ચકાસણીના દિવસે સરદાનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે ચુંટણીઓ અગાઉ જ 192 બેઠકો માંથી 3 બેઠકો ગુમાવી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની 189 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. તેની સામે ભાજપે વગર ચૂંટણીએ એક બેઠક જીતી લીધી છે અને 191 બેઠકો ઉપર ચૂંટણી લડશે.