અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ પડે એવી શક્યતાઓ ઉભી થઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યે રાજીનામું આપી દીધાં છે. અત્યાર સુધી આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારનું નામ પણ રાજીનામું આપનારા ધારાસભ્યોમાં ચાલી રહ્યું હતું.


જોકે, આ બધી અટકળો વચ્ચે આજે બપોરે ધારાસભ્ય કાંતિભાઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે કોંગ્રેસ ભવન ખાતે આવ્યા હતા અને પોતે કોંગ્રેસમાં જ હોવાનું એલાન કરીને ભાજપ ખોટી વાતો ફેલાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમાર અને વલસાડના કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામાં આપી દીધું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત બીજા કેટલાક ધારાસભ્યો પણ હજુ રાજીનામાં આપે તેવી શક્યતા હોવાનું પણ સૂત્રો જણાવે છે. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના ઉમેદવાર નરહરી અમીને રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી છે.