અમદાવાદ: આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં શિક્ષણના વેપારીકરણ અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને પોહચાડી છે.  ગુજરાત રાજ્યમાં ૧૦૮ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે.


પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવામાં આવી રહી છે. ગુજરાતની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણમાં ટોપ યુનિવર્સિટી ક્લબમાં ના આવે, પણ વિદ્યાર્થીઓ - વાલીઓ ને લૂંટવામાં વન મિલિયન ફી ક્લબમાં જવા ન ઘેલછા છે. 


ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ , બીએ અને બીબીએની ફી મેડિકલની ફી કરતા પણ મોંઘી. ગુજરાતની ૧૦૮ પૈકી કેટલીક યુનિવર્સિટીના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સની ફી જોઈએ અને સરકારની કોલેજોની ફી જોડે સરખાવવમાંમાં આવે તો મોટો તફાવત જોવા મળે છે . અમદાવાદ યુનિવર્સિટીના જે બિલ્ડિંગમાં સવારે બીકોમમાં વાર્ષિક ૪.૨ લાખ રૂ ફી ઉઘરાવવામાં આવે છે, તે જ કેમ્પસમાં બપોરે ગુજરાત યુનિવર્સિટીની ફી આશરે ૨૫૦૦ ઉઘરાવવામાં આવી રહી છે.


નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમમાં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવામાં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએ ના  વાર્ષિક ૨ લાખ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. પંડિત દીનદયાળના અંત્યોદયના સિધ્ધાંતનો પ્રચાર ભાજપના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં બીકોમ અને બીએ જેવા કોર્સ માં સેમેસ્ટર  દીઠ ૧.૩૫ લાખ ફી ઉઘરાવવા માં આવી રહી છે.


કોંગ્રેસના શાસનમાં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક ૨૦૦૦ થી ૨૫૦૦ ની વચ્ચે ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીસ પણ માફ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવામાં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજની ફી નિયમન કમિટીની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે તેના ઉપર પણ અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? વન મિલિયન ફી  ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટી નાં સત્તાધીશો થી સરકાર કેમ ગભરાય છે? શિક્ષણ માફીયાઓથી ગુજરાતની જનતાને બચાવવા તે સરકારની જવાબદારી હોવી જોઈએ પણ સરકાર શિક્ષણ માફીયાઓના ઘુટણીયે પડી હોય તેવુ લાગે છે. ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે. આમ કોંગ્રેસે સરકાર પર ફીને લઈને આકરા પ્રહાર કર્યા હતા.