અમદાવાદ: ગુજરાતમાં કોરનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના કોંગ્રેસના જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ઈમરાન ખેડાવાલાએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્યને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની સાથે કોંગ્રેસના બે ધારાસભ્યો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણ સાથે મુલાકાત દરમિયાન હાજર રહ્યાં હતાં.

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતાં. જેમાં કોંગ્રેસના એક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જોકે મહત્વની વાત છે કે, શૈલેષભાઈ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ હોમ કોરોન્ટાઈન થયા છે. જોકે તેમનામાં લક્ષણો જણાશે તો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.

અમદાવાદમાં વધી રહેલા સતત કોરોના કેસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. રૂપાણીએ આજે પોતાના બંગલે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને મળવા બોલાવ્યા હતા. જેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો સમાવેશ થાય છે. આ બેઠક બાદ કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ છેલ્લા ધણા દિવસોથી લોકોમાં જાગૃતતા લાવવા રિક્ષામાં ફરી અને લાઈડ સ્પીકર પર લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યા હતા.