અમદાવાદમાં એપ્રિલ-મે મહિનાની જેમ ફરીથી વકરેલ કોરોનાનું સંક્રમણ વધુ ઘાતક સાબિત થઈ રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 291 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 13 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે.


નવેમ્બર મહિનામાં અમદાવાદમાં 6989 નવા કોરોનાના દર્દી નોંધાયા છે. જ્યારે 154 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્ય છે. એપ્રિલ-મે કરતા કોરોના વાયરસ આ વખતે વઘુ ઘાતક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 321 દર્દીઓએ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. મનપાની હદમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 51 હજાર 625 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2007 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. વધુ પાંચ તબીબો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અત્યાર સુધીમાં સિવિલમાં તબીબો સહિત 462 લોકો કોરોના સંક્રમિત થયા છે.

સિવિલમાં તબીબો કોરોનાગ્રસ્ત થતા સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ અને વડોદરાથી તબીબો બોલાવવાની ફરજ પડી છે. તો SVP હોસ્પિટલના સુપ્રિટેંડંટ અને ડેપ્યુટી સુપ્રિટેંડંટ સહિત સાત તબીબો કોરોનાગ્રસ્ત થયા છે.. સોલા સિવિલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.