અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસથી કોરોના રસીકરણ 5 લાખને પાર થઈ ગયું છે. બીજી તરફ શહેરીજનો કરતાં ગામડાઓમાં કોરોના રસીકરણને લઈને ભારે જાગૃત્તિ જોવા મળી રહી છે. ગુજરાતમાં 887 ગામડાં એવા છે જ્યાં બધા જ ગ્રામવાસીઓ રસી લઇ લીધી છે. શહેરીજનો કરતાં ગામડાના લોકોએ જાગૃતતાના દર્શન કરાવ્યા છે. ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, આણંદના ગામોમાં હજુય 100 ટકા રસીકરણમાં પાછળ છે. જ્યારે સાબરકાંઠા સૌથી મોખરે છે. 



ગુજરાતમાં સતત બીજા દિવસે પાંચ લાખ 80 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી. શુક્રવારના દિવસે રાજ્યભરમાં પાંચ લાખ 93 હજાર 263 લોકોને કોરોનાની રસી આપવામાં આવી. તો ગુરૂવારે રાજ્યમાં પાંચ લાખ 81 હજારથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ત્રણ કરોડ 55 લાખથી વધુ થઈ ગયો છે.


શુક્રવારે સૌથી વધુ રસીકરણ થયું હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમાકે છે. રાજ્યમાં શુક્રવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 48 હજાર 867, સુરત શહેરમાં 44 હજાર 48, બનાસકાંઠમાં 39 હજાર 339, સાબરકાંઠામાં 26 હજાર 937 અને દાહોદમાં 19 હજાર 793 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી. ડાંગમાં સૌથી ઓછુ 581, જૂનાગઢ શહેરમાં બે હજાર 613 અને ગાંધીનગર શહેરમાં ત્રણ હજાર 855 નાગરિકોને કોરોનાની રસી અપાઈ.


શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હોય તેવા રાજ્યોમાં ગુજરાત ટોચ પર છે. તો પાંચ લાખ 11 હજારના આંકડા સાથે આંધ્રપ્રદેશ બીજા, ત્રણ લાખ 73 હજારના આંકડા સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.


 


દેશમાં રસીકરણ


દેશમાં કોરોના રસીકરણનો આંકડો 50 કરોડને પાર થઈઆ ગયો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં શુક્રવારે 43.29 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. જેમાં બાદ દેશમાં અત્યાર સુધીમાં 50 કરોડ ત્રણ લાખ 48 હજાર 866 કોરોના રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી.


પ્રધાનમંત્રીએ ટ્વિટરના માધ્યમથી ખુશી વ્યક્ત કરતા લખ્યું કે કોરોના સામેની લડાઈમાં ભારતે આજે વધુ એક નવું શિખર પ્રાપ્ત કર્યું છે. કોરોના રસીમાં દેશે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ આંકડાને આગળ વધારતા આપણે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આપણા નાગરિકોને સૌને રસી, વિનામૂલ્યે રસી કાર્યક્રમ હેઠળ તેનો લાભ મળે.


સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વિટ કરીને લખ્યું કે ભારતમાં 10 કરોડના આંકડાને પ્રાપ્ત કરવા માટે 85 દિવસ લાગ્યા. જ્યારે આગલા 45 દિવસમાં 20 કરોડનો આંકડો પાર થઈ ગયો છે. જ્યારે 29 દિવસ બાદ 30 કરોડના આંકડા પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, દેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 18થી 44 વયજુથના એક કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.