ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીનું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 3 થયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Mar 2020 10:17 PM (IST)
રાજયમાં કોરોના વાઈરસના વધુ નવા કેસ નોંધાતા પોઝિટવ કેસનો આંક 43 પર પહોંચી ગયો છે.
અમદાવાદ : રાજ્યમાં વધુ એક કોરોના વાયરસથી સંક્રમિત દર્દીનું મોત થયું છે. આ મોત સાથે ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુનો આંકડો ત્રણ થયો છે. આજે સવારે 70 વર્ષીય પુરુષનું મોત થયું છે. તેમને ડાયાબિટિસ, હૃદય, બ્લડ પ્રેસર, કેન્સર સહિતની બીમારી હતી. અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક અમદાવાદની મહિલા છે અને તેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદિનાથી પરત ફર્યા હતા. આ પહેલા સુરતમાં એક વ્યક્તિનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. આ સાથે દેશમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 12 થઈ ગઈ છે. રાજયમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. આજે વધુ નવા કેસ નોંધાતા પોઝિટવ કેસનો આંક 43 ઉપર પહોંચી ગયો છે. અમદાવાદમાં 15, વડોદરામાં 8, ભાવનગરમાં 1, સુરતમાં 7, રાજકોટમાં 4. ગાંધીનગરમાં 7 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે. કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત સંખ્યા વધીને 606 થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 43 લોકો રિકવર પણ થઈ ચુક્યા છે.