અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં 16 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ આ જાણકારી આપી છે. રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, અમદાવાદના છ વિસ્તારો જેમાં બાપુનગરનો એક, દરિયાપુર એક, શાહઆલમ અને દાણીલીમડામાં એક અને શાહપુરમાં બે એરિયા ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.


અશ્વિની કુમારે જણાવ્યું કે, રાજ્યમાં વેન્ટીલેટર બહારથી મંગાવામાં આવતા હતા, હવે રાજકોટની કંપનીએ વેન્ટીલેટર બનાવવામાં આવ્યું છે જેનું દર્દી પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. એન95 માસ્ક બનાવવા કાનપુરથી ટેકનોલોજી લાવી ગુજરાતમાં રોજના 25 હજાર માસ્ક વડોદરાની કંપની બનાવી રહી છે.

અશ્વિની કુમારે જણાવ્યું કે, તબલિગી જમાતના લોકો દિલ્હી જઇ પરત ફર્યા પછી કોવિડના કેસો વધ્યા છે. અમદાવાદના 6 વિસ્તાર ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં નાગરવાળા અને સૈયદપુર વિસ્તારને ક્લસ્ટર જાહેર કરાયો છે.

ગુજરાતની બે કંપનીઓએ પીપી કીટનું ઉત્પાદન કરી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને કાર્યરત કરાઈ છે. બાકીના 29 જિલ્લામાં 100 બેડની કોવિડ હોસ્પિટલ ચારથી પાચ દિવસમાં તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.