અમદાવાદ : રાજ્યમાં આજે નવા 230 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3301 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જે નવા કેસ નોંધાયા તેમાં અમદાવાદમાં સૌથી વધુ 178 કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે.


સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 2181 કેસ નોંધાયા છે, જેમાંથી 104 લોકોનાં મોત થયા છે અને 140 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના કેસ સૌથી વધારે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે શહેરમાં આવશ્યક સામાન સિવાયની તમામ દુકાનો 3 મે સુધી બંધ રહેશે. વેપારી એસોસિએશન સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે અમુક વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ હતી.

નેહરાએ કહ્યું કે, અમદાવાદમાં ડબલિંગ રેડ ચારથી વધીને આઠ દિવસનો થઇ ગયો છે. દર્દીઓના મૃત્યુ કરતા સાજા થવાનો દર પણ બમણો થયો છે. તંત્ર દ્ધારા ફાઇવ સ્ટાર હોટલો સાથે MOU કરવામાં આવ્યા છે જે અનુસાર સમરસ હોસ્ટેલમાં રહેવા ન માગતા લોકો ફર્ન હોટલમાં રહી શકે છે.

એક તબક્કે શહેરમાં ડબલિંગ રેટ ત્રણથી ચાર દિવસનો હતો જે ઘટીને આઠ દિવસનો થઇ ગયો છે. જ્યારે રિકવરી રેટ 10 ટકા પર પહોંચી ગયો છે.