અમદાવાદઃ શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 182 નવા કેસ ઉમેરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કેસનો કુલ આંક 2003 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાના કારણે 86 લોકોના મોત થયા છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે શહેરમાં આવશ્યક સામાન સિવાયની તમામ દુકાનો 3 મે  સુધી બંધ રહેશે. વેપારી એસોસિએશન સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગઇકાલે  રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે અમુક વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ હતી.


નેહરાએ કહ્યું કે, અમદાવાદમાં ડબલિંગ રેડ ચારથી વધીને આઠ દિવસનો થઇ ગયો છે. દર્દીઓના મૃત્યુ કરતા સાજા થવાનો દર પણ બમણો થયો છે. તંત્ર દ્ધારા ફાઇવ સ્ટાર હોટલો સાથે MOU કરવામાં આવ્યા છે જે અનુસાર સમરસ હોસ્ટેલમાં રહેવા ન માગતા લોકો ફર્ન હોટલમાં રહી શકે છે. એક તબક્કે શહેરમાં ડબલિંગ રેટ ત્રણથી ચાર દિવસનો હતો જે ઘટીને આઠ દિવસનો થઇ ગયો છે. જ્યારે રિકવરી રેટ 10 ટકા પર પહોંચી ગયો છે.

તેમણે કહ્યું કે નરોડામાં એક ખાનગી હોસ્પિટલ બની રહી હતી. આ નિર્માણાધીન 200 બેડની હોસ્પિટલનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો ન હોવાથી કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવાની ઓફર કરવામાં આવી છે.