અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, અમદાવાદ માટે વધી રહેલા કેસો વચ્ચે પણ રાહતના સમાચાર એ છે કે, મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. તેમજ અમદાવાદ જિલ્લામાં હાલ, 3188 જ લોકો સારવાર હેઠળ છે. તેની સામે 9228 લોકો સ્વસ્થ થઈને ઘરે જતાં રહ્યા છે. જોકે અમદાવાદમાં મૃત્યુનું પ્રમાણ વધારે છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 938 લોકોના મોત થયા છે.


અમદાવાદમાં રીકવરી રેટની વાત કરીએ તો ગઈ કાલે ગુરુવારે 291 કોરોનાના કેસ નોંધાયા હતા. તેની સામે 296 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, જેટલા કેસ આવ્યા તેના કરતાં વધુ લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આવી જ રીતે બુધવારે 3 જૂને અમદાવાદમાં 290 કેસ નોંધાયા હતા, જેની સામે 205 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.



આવી જ રીતે 2 જૂન ને મંગળવારે અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી અને 1019 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. જ્યારે તેની સામે 2 જૂને 279 કેસ નોંધાયા હતા. આવી જ રીતે 1 જૂન ને સોમવારની વાત કરીએ તો અમદાવાદમાં 790 લોકો સ્વસ્થ થયા હતા. તેની સામે 314 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે 455 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18609 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1155એ પહોંચ્યો છે.



રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 220695 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213262 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7433 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.