અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ભાજપના નારાજ કાર્યકરોને ખુશ કરવા વિજય રૂપાણી સરકારના મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કરાયો હતો. સરકારના તમામ મંત્રીઓ વારાફરતી સોમવાર અને મંગળવારે કમલમ ખાતે બેસે તેવો આદેશ કરાયો હતો પણ હવે સરકારના હવે માત્ર બે મંત્રીઓને કમલમમાં આવીને કાર્યકરોના પ્રશ્નો સાંભળવા જવાબદારી અપાઇ છે. ગુજરાતના જાણીતા અખબારમાં કરાયેલા દાવા પ્રમાણે હાલ પૂરતી તમામ મંત્રીઓને કમલમમાં આવવાની વાત પર અત્યારે રોક લગાવાઇ છે. હવે કૌશિક પટેલ અને જયદ્રથસિંહ એ બે મંત્રી જ કમલમ ખાતે બેસીને કાર્યકરોની રજૂઆતો સાંભળશે. એ પછી આ રજૂઆતોને સંબધિત મંત્રાલય સુધી પહોંચાડાશે.


આ અખબારના અહેવાલમાં દાવો કરાયો છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આ આદેશની લોકોમાં નકારાત્મક છાપ ઉપસી હતી. સિનિયર મંત્રીઓ પણ આ નિર્ણયથી અંદરખાને નારાજ હતાં તેથી આખરે આ નિર્ણય બદલવો પડયો છે. સી.આર.પાટીલ દ્વારા બધાય વિભાગના મંત્રીઓને કમલમમાં આવવા આદેશ કરાયો હતો. તેના કારણે સામાન્ય લોકોમાં એવો નકારાત્મક સંદેશો પહોંચ્યો હતો કે, ભાજપના કાર્યકરોની વાત સાંભળવા મંત્રીઓ કમલમમાં જશે તો સચિવાલયમાં સામાન્ય લોકોને મંત્રીઓ મળી જ નહીં શકે તેથી આ નિર્ણય બદલવો પડ્યો હોવાનો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.

આ અહેવાલમાં કહેવાયું છે કે, કોંગ્રેસે પણ આ વાતનો એ મુદ્દે વિરોધ કર્યો હતો કે, સરકારના મંત્રી ભાજપના નહી પણ ગુજરાતની જનતાના છે. કોરોનાના કારણે મંત્રી ભાજપના કાર્યકરોને જ નહી પણ સામાન્ય લોકોનેય મળતા નથી. કોરોનાના બહાને અત્યારે તો મુલાકાતીઓ માટે સચિવાલયના દરવાજા બંધ છે ત્યારે કમલમમાં દરવાજા ખુલ્લા મૂકાયા છે. આ વિવાદ વકરતાં ભાજપે આ નિર્ણયને ફેરવવા મજબૂર થવુ પડયુ હોવાનો દાવો આ અહેવાલમાં કરાયો છે.

આ અહેવાલ પ્રમાણે હવે એવુ નક્કી કરાયુ છે કે,દર સપ્તાહે સોમવાર અને મંગળવારે માત્ર બે મંત્રીઓ કમલમ જશે અને કાર્યકરોને સાંભળશે. અત્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. આ બને મંત્રીઓ કાર્યકરોના પ્રશ્નો સાંભળીને જે તે વિભાગને મોકલી આપશે.