Ahmedabad Crime News: અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. દંપત્તિ વચ્ચે વાસી બ્રેડ બટરને લઈ થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું કાસળ કાઢીને ઘરમાં આગ લગાવી દીધી હતી. ફાયર અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, પતિ પત્ની વચ્ચે પારિવારીક ઝઘડો આગ પછળનું મુખ્ય કારણ છે. ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આગ લગાવી હતી. આગમાં પત્નીનું મોત થયાનું સામે આવ્યું છે. મૃતકનું નામ અનિતા બઘેલા, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. દંપત્તિનો પુત્ર ધો. 8 અને પુત્રી ધો. 6માં અભ્યાસ કરે છે.


ફાયર બ્રિગેડે પહોંચીને આગ પર કાબુ મેળ્યો


અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ફ્લેટના V બ્લોકના ચોથા માળ ઉપર આગ લાગવાનો કોલ ફાયરવિભાગને મળ્યો.આગ ઉપર તો કાબુ કરી લેવાયો પણ બાદમાં સામે આવ્યું કે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે.સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.તપાસ કરતા માલુમ પડ્યું કે મૂળ આગ્રાના મેરઠના અનિલ બઘેલ તેમના પત્ની અને એક પુત્રી અને એક પુત્ર સાથે ચાર વર્ષથી વસવાટ કરી રહ્યા હતા.વ્યવસાયે કેમિકલ એન્જીનીયર અનિલ બઘેલના પત્ની અનિતા બઘેલનો મૃતદેહ સવારે સોસાયટીના રહીશોએ નીચે લોહી લુહાણ હાલતમાં જોયો હતો તો તેની સાથે ચોથા માળે આગ પણ લાગી હતી.જે બાદ ફાયરવિભાગને જાણ કરવામાં આવી.




સ્થાનિકોએ શું કહ્યું


આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગે સોસાયટીના રહીશો સંપૂર્ણ અજાણ છે. સમગ્ર ઘટના અંગે પોલીસે FSL ની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે તેની સાથે હત્યારો પતિ અનિલ બઘેલને પણ ઇજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


એસીપીએ શું કહ્યું


એસીપી દિગ્વિજય સિંહ રાણાએ કહ્યું, મૃતક પત્નીના પતિનું કહેવું છે કે સવારે બ્રેડ બટરને લઈને ઝઘડો થયો. પતિએ બ્રેડ બટર વાસી હોવાનું કહીને પાછું આપ્યું જેને લઈને ઝઘડો થયો. ત્યારબાદ તેમની પત્નીએ તેમને છરીનાં ઘા ઝીંક્યા. ઝપાઝપીમાં આગ લાગી હોવાનું પણ કહ્યું જોકે સમગ્ર મામલે હજુ હકીકત શું છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.