વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા હતા.  ભાવનગર એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું.  તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. 



અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ હવે વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક શરૂ થઈ છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ બેઠકમાં જોડાયા છે. 


વડાપ્રધાન મોદીને ભાવનગર એરપોર્ટ પર આવકારવા માટે મુખ્યમંત્રી રૂપાણી, ભાવનગર ના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ   પંકજ કુમાર, ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ  મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન  આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.


મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.