Cyclonic Biparjoy: ચક્રવાતી તોફાન બિપારજોય ઝડપભેર ગંભીર ચક્રવાતી તોફાનમાં પલટાઈ રહ્યું છે. પ્રતિ કલાક છ કિ.મીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 900 કિ.મી દુર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 9 જૂનથી વાવાઝોડું ફંટાશે પણ આંધી આવશે. રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થશે, દરિયો તોફાની થશે, દરિયામાં ભારે કરંટ જોવા મળશે. જેના કારણે ઉચા મોજા ઉછળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે વરસાદ થશે. અંબાલાલના અનુમાન પ્રમાણે બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં 13 તારીખ સુધી રહેશે. માત્ર દરિયા કિનારે જ નહિ પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના અંદરના ભાગમાં પણ ભારે પવન અને વરસાદ રહેશે.


ચોમાસા અંગે અંબાલાલ પટેલે કહ્યું, 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે અને આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે.


વાવાઝોડું ફંટાઇ શકે છેઃ હવામાન વિભાગ


અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે . હવામાન વિભાગના મતે વાવાઝોડું ફંટાઇ શકે છે. આગામી 3 દિવસમાં ઉત્તર -ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે . જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ છે.


બિપરજોય' વાવાઝોડાને કારણે કચ્છ પ્રશાસન સજજ


બિપરજોય' વાવાઝોડાને કારણે કચ્છ પ્રશાસન સજજ થઈ ગયું છે. સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને માંડવી બીચ 9 થી 12 જૂન સુંધી પ્રવાસીઓ માટે બંધ કરાયો છે. સ્થાનિક ધંધાર્થીઓને પોતાનો માલ સ્થળાતરિત કરવા પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. સૂચનાનો અમલ નહિ થાય તો મામલતદાર, પોલીસ અને પાલિકા દ્વારા તમામ માલ સામાન જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવશે.


કેરળમાં ચોમાસાનું આગમન


ગુરુવારે કેરળના અનેક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. કેરળ અને તમિલનાડુના કન્નૌર, કોડાઈકેનાલ, અદિરામપત્તીનમ્ સુધી આ ચોમાસુ આવી પહોંચ્યું છે અને તેના પગલે કેરલમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. જોકે, દેશમાં ચોમાસાના આગમનને 7 દિવસનો વિલંબ થયો છે. આગામી પખવાડિયામાં ચોમાસુ ગુજરાત પહોંચવાની શક્યતા છે.


કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સચિવ શેખર લુકોસે કુરિઆકોસેએ કહ્યું હતું કે, રાજ્યમાં ચોમાસાના આગનની જાહેરાત પછી પહેલી ઓરેન્જ એલર્ટ કોઝિકોડેમાં જાહેર કરાઈ હતી. અહીં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો હતો. સામાન્ય રીતે દેશમાં 1 જૂને જ કેરળમાં ચોમાસાનું આગમન થઈ જાય છે.  સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમન પછી તા.10 જૂને મહારાષ્ટ્રમાં, તા.15 જૂને દક્ષિણ ગુજરાતમાં, તા.20 જૂને રાજકોટ સુધીના વેરાવળ,જુનાગઢ સુધીના વિસ્તારમાં અને તા.25 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને તા.30 જૂન સુધીમાં કચ્છ સહિત વિસ્તારોમાં પ્રવેશતું હોય છે.  


આ પણ વાંચોઃ


Weather Updates: દિલ્હી-NCRમાં ગરમીથી લોકો ત્રાહિમામ, ગુજરાતમાં વરસાદનું અનુમાન, રાજસ્થાનમાં ઓરેંજ એલર્ટ, જાણો આજે કેવું રહેશે હવામાન