અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતના ડાંગ જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડાંગ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે, ડાંગ જિલ્લામાં હવે માત્ર 15 જ એક્ટિવ કેસો રહ્યા છે. તેમજ છેલ્લા 5 દિવસથી એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી. તેમની સામે છેલ્લા 5 દિવસમાં 10 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


ડાંગ જિલ્લામાં છેલ્લે 30મી સપ્ટેમ્બરે 3 કેસ નોંધાયા હતા. ડાંગ જિલ્લા માટે મોટી રાહતની વાત એ છે કે, આ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી. ગુજરાતમાં ડાંગ જિલ્લો એક માત્ર એવો જિલ્લો છે, જ્યાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું ન હોય.

ડાંગ પછી સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લામાં પોરબંદરમાં 20, આણંદમાં 40, તાપી-વલસાડમાં 50-50 એક્ટિવ કેસો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 91 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.